અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર ગંદકી કરતાં તેમજ અખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરતાં લારી-ગલ્લાઓ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ્સ પર કડક ચેકિંગ કરવા એએમસીના કમિશનરના આદેશ બાદ મ્યુનિના આરોગ્ય વિભાગે ચેકિંગ ઝૂંબેશ આદરી છે. જેમાં જાણીતા મોલ અને મલ્ટીપ્લેક્ષ તેમજ થિયેટરની કેન્ટીમાં તપાસ હાથ ધરાઇ હતી. શહેરના સાતેય ઝોનમાં એએમસી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એક સપ્તાહ દરમિયાન કોર્પોરેશનના હેલ્થ વિભાગે 426 કિલો તેમજ 435 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરી 40 હજાર દંડ વસૂલ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના મ્યુનિ.કમિશનર એમ થેન્નારસને શહેરમાં ખાદ્ય પદાર્થોની વધુ સઘન તપાસ કરવા આદેશ આપ્યા હતા. મ્યુનિ. કમિશનરના આદેશ બાદ એએમસી આરોગ્ય વિભાગ સફાળે જાગ્યું હતું અને અમદાવાદ શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અખાદ્ય પદાર્થનો નાશ કરી ગંદકી બદલ એકમોને નોટિસ પણ આપી હતી. જ્યારે શહેરમાં આરોગ્ય વિભાગે લીધેલા ગત સપ્તાહના ખાદ્ય નમુના એએમસીની લેબમાં ભેળસેળવાળા સાબિત થતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. શનિવારની મોડીરાત્રે પણ મ્યુનિ.ની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના જાણીતા મોલ અને મલ્ટીપ્લેક્ષ તેમજ થિયેટરની કેન્ટીમાં તપાસ હાથ ધરાઇ હતી. શહેરના સાતેય ઝોનમાં એએમસી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરમાં રોગચાળો વધતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.
આ ઉપરાંત અગાઉ પણ શહેરના બોપલ ખાતે એક કંપનીના જુદા જુદા પ્રકારના વિટામિન પેક્ડ ફૂડમાં ભેળસેળ પકડાતાં AMCએ ફૂડ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.તથા છેલ્લા એક સપ્તાહમાં આરોગ્ય વિભાગે 54 નમૂના લીધા હતા. જેમાં ડેરી પ્રોડક્ટના 10, મીઠાઈના 3, બેકરીના 8, ફરાળી વાનગીના 14, મેંદાના 2, મસાલાના 10 તેમજ અન્ય ખાદ્યપદાર્થના 7 નમૂનાનો સમાવેશ થાય છે. એક સપ્તાહ દરમિયાન કોર્પોરેશનના હેલ્થ વિભાગે 426 કિલો તેમજ 435 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરી 40 હજાર દંડ વસૂલ્યો હતો.