Site icon Revoi.in

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે તહેવારો પર મુસાફરો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.

તેમણે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે સત્તાવાળાઓ દ્વારા કરાયેલી વ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યોગ્ય વ્યવસ્થા કરવા બદલ અધિકારીઓની પ્રશંસા કરી હતી.

આ સાથે તેમણે રેલ્વે સ્ટેશન પર વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા બદલ મુસાફરોની પ્રશંસા પણ કરી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગયા વર્ષે રેલવેએ દિવાળી અને છઠના અવસર પર 4,500 વિશેષ ટ્રેનો દોડાવી હતી. જ્યારે આ વર્ષે 7,435 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે મંત્રીએ કહ્યું કે 31 ઓક્ટોબર સુધી આ ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા 51 લાખ સુધી પહોંચી ગઈ છે.

રેલવે મંત્રીએ કહ્યું કે તમામ મુખ્ય સ્ટેશનો પર વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ, નવી દિલ્હી, લખનૌ અને બિહારના ચાર મોટા રીસીવિંગ સ્ટેશનો પર તૈયારીઓ માટે પણ ખાસ કાળજી લેવામાં આવી છે. દરેક જગ્યાએ ખાસ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. ટિકિટિંગ માટે એક ખાસ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી દરેક જગ્યાએ મુસાફરોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે અને તેઓ આરામથી મુસાફરી કરી શકે.

Exit mobile version