રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, હવે તેઓને ઓર્ગેનિક ખેતી માટે મળશે પ્રમાણપત્ર
- રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર
- હવે તેઓને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મળશે
- તેનાથી કૃષિ નિકાસમાં પણ થશે ફાયદો
અમદાવાદ: ગુજરાતમાં સજીવ ખેતીને પ્રોત્સાહન અપાય છે તેમજ ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતો પાસે કોઇ પ્રમાણપત્ર ના હોવાથી તેમના ઉત્પાદનોમાં ગોલમાલ થવાના કિસ્સા સામે આવતા હોય છે. ઓર્ગેનિકના નામે કેમિકલયુક્ત ખેત પેદાશો પધરાવી દેવામાં આવતી હોય છે તેથી આ ખેડૂતોને હવે ઓર્ગેનિક ઉત્પાદનો માટે પ્રમાણિત કરવામાં આવશે અને તેનું કામ એજન્સીને સોંપાશે.
રાષ્ટ્રીય જૈવિક ખેતી દ્વારા ઓર્ગેનિક ખેતની પ્રમાણપત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરવામાં આવી છે, જે પૈકી એક એજન્સી આણંદની સૃષ્ટિ તેમજ કચ્છનું અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ છે. આ બે સંસ્થાઓ પાસેથી ખેડૂતો તેમના ઉત્પાદનો અને વાવેતરની તપાસ કરાવી ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર લઇ શકશે.
ગુજરાતમાં સુરેન્દ્રનગર, કચ્છ, ડાંગ ઉપરાંત વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ 100 ટકા ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાતની આણંદ સ્થિત બીજી કંપની સૃષ્ટી ઓર્ગેનિક્સ છે જે દક્ષિણ ગુજરાતના 15000 ખેડૂતોને તાલીમ આપીને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરે છે.
ભારતના આઠ રાજ્યો કે જ્યાં સેન્દ્રીય ખેતી નીતિ બનાવવામાં આવેલી છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં 98.01 લાખ હેક્ટર જમીન વાવેતર હેઠળ છે. વાવેતર ઘનિષ્ટતા 130 ટકા સાથે કુલ પાક વાવેતર વિસ્તાર 128 લાખ હેક્ટર થાય છે.
(સંકેત)