સાંગલીમાં એક જ પરિવારના 9 સભ્યોના મોતમાં ચોંકાવનારો ખુલાસો, તમામની હત્યા કરાયાનું ખુલ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં 20મી જૂનના રોજ 20 વ્યક્તિઓના મોતની ઘટનામાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક હત્યાકાંડની હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક આત્મહત્યાની મનાતી હતી જો કે, બે ભાઈઓના પરિવારને એક તાંત્રિક અને તેના ડ્રાઈવરે ઝેર આપીને માર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 20મી જૂન મ્હૈસલ ગામમાં એક કિમીના અંતરમાં આવેલા બંને ભાઈના પરિવારના 9 સભ્યોની લાશ મળી હતી. બે પૈકી એક ભાઈ શિક્ષક અને એક પશુ ચિકિત્સક હતો.
ઉચ્ચ પોલીસ અધિકારી મનોજ કુમાર લોહિયાએ જણાવ્યું હતું કે તાંત્રિક અબ્બાસએ વનમોર બંધુઓ માટે ગુપ્ત ધન શોધવાનો વાયદો કર્યો હતો. તેના બદલે રૂ. એક કરોડ જેટલી રકમ લીધી હતી. જ્યારે ગુપ્ત ધન નહીં મળતા બંને ભાઈઓએ તાંત્રિક પાસે નાણા પરત માંગ્યા હતા. પરંતુ અબ્બાસે નાણા આપવાનો ઈન્કાર કરીને વનમોર બંધુઓની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.
મુખ્ય સુત્રધાર અબ્બાસ મહંમદ અલી બાગવાન 19મી જૂનના રોજ ડ્રાઈવર ધીરજ સુરવશે સાથે વનમોર બંધુઓના ઘરે ગયો હતો. જ્યાં ગુપ્ત ધનને શોધવાના બહાને તાંત્રિક વિધી શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારના સભ્યોને ધાબા ઉપર મોકલી આપ્યાં હતા. જે બાદ એક-એક કરીને નીચે બોલાવ્યાં હતા અને ઝેર નાખેલી ચા પીવડાવી હતી. ચા પીધા બાદ પરિવારના સભ્યોના મોત થયાં હતા.
આ ઘટના સામુહિક આત્મહત્યાની હોવાનું પોલીસ માનતી હતી, પોલીસને અંતિમ ચિઠ્ઠી મળી હતી જેમાં જેટલા લેણદારોના નામનો ઉલ્લેખ કર્યો હતો. બંને પરિવારે 25 લોકો પાસેથી ગુપ્તધનની લાલચમાં મોટી રકમ ઉછીની લીધી હતી. પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા બદલ 19 આરોપીઓની ધરપકડ કરી હતી.