
ધો. 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જુનના અંતમાં : સામાયિક અને એકમ કસોટીના પરિમાણને આધારે માર્કશિટ તૈયાર કરાશે
ગાંધીનગરઃ ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મૂલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ધોરણ 10માં માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને જુન મહિનાની આખર સુધીમાં માર્કશિટ મળી જશે. જેમાં ધોરણની પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરીત ગુણ (મહત્તમ ગુણ 20),તથા ધો. 9ની દ્ધિતિય કસોટી (કુલ ગુણ 50)માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત ગુણ (મહત્તમ 20 ગુણ), તેમજ ધોરણ 10ની તા.19-03-21થી 27-03-21 દરમિયાન ઓનલાઈન, ઓફલાઈન માધ્યમથી યોજાયેલી પ્રથમ સામાયિક કસોટી ( કુલ ગુણ 80)માંથી મેળવેલા ગુણને 37.5 ટકામાં રૂપાંતરિત કરેલા ગુણ (મહત્તમ 30 ગુણ), તથા ધો. 10ની એકમ કસોટી( કુલ ગુણ 25)માંથી મેલવેલ ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરેલ ગુણ ( મહત્તમ 10 ગુણ) મળી કુલ 80 ગુણ મુજબ પરિણામ તૈયાર કરાશે.
ધોરણ 10માં માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક ઉપલભ્ધ છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એટલે સરકારે વર્ગો વધારવા પડશે.એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.