રાજકોટ, 8 મે 2026: Students angry over B.Sc Semester-6 results not being declared સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત માર્ચમાં લેવાયેલી બીએસસી સેમેસ્ટર-6ની પરીક્ષાનું પરિણામ હજુ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીએસસી. સેમ.6 ના 1268 વિદ્યાર્થીઓ પરીક્ષાના 38 દિવસ બાદ પણ હજુ પરિણામ વિહોણા છે. પરીક્ષાર્થીઓની રજુઆત બાદ તાત્કાલિક પરિણામ જાહેર કરવા માટે કુલપતિ દ્વારા આદેશ કરાયા છતાં પણ રીઝલ્ટ જાહેર કરવામાં વિલંબ થયો છે. યુનિના પરીક્ષા વિભાગમાં ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ મોટાભાગે ગેરહાજર જોવા મળે છે. જ્યારે પરીક્ષા વિભાગના OSD નિલેશ સોની વિદેશ ગયા છે. ત્યારે પરીક્ષા વિભાગની જવાબદારી અનુભવી અને સંનિષ્ઠ અધિકારીના હાથમાં સોંપવામાં આવે તેવી માગ ઊઠી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈ તા. 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ હતી. 120 પરીક્ષા કેન્દ્ર પરથી આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ ગયા પરંતુ બી.એસસી. સેમેસ્ટર – 6 નુ પરિણામ 38 દિવસ બાદ પણ જાહેર ન થતા 1268 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની જગ્યા પર લાંબા સમયથી ભરતી થઈ નથી. જેથી પરીક્ષા વિભાગનો વહીવટ ખાડે ગયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા તો ઝડપથી લેવાય છે પરંતુ પરિણામો મોડા જાહેર થાય છે. રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ત્રણ મહિના બાદ પણ જાહેર થતા નથી જ્યારે અમૂક રીપીટર વિદ્યાર્થીઓને તો રીઝલ્ટ માટે 6 માસથી વધુ સમય રાહ જોવી પડે છે. પેપર ચેકિંગની કામગીરી સંભાળતો સ્ટાફ પણ કોન્ટ્રાક્ટ આધારિત છે ત્યારે યુનિવર્સિટીના કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજા દ્વારા પરીક્ષાના પરિણામોની ચોક્કસ તારીખ જાહેર કરી તે તારીખે જ પરિણામો જાહેર થાય તેવી વિદ્યાર્થીઓમાં માગ ઊઠી છે.

