Homeગુજરાતીદેશ-વિદેશક્રિએટિવ ઇકોનોમી ભારતના આગામી ગ્રોથ ફ્રન્ટિયર તરીકે ઉભરી રહ્યું છે: ડો. એલ....

ક્રિએટિવ ઇકોનોમી ભારતના આગામી ગ્રોથ ફ્રન્ટિયર તરીકે ઉભરી રહ્યું છે: ડો. એલ. મુરુગન

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2026: માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી, ડો. એલ. મુરુગને આજે ઓ.પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે “કાયદો, નીતિ અને સર્જનાત્મક અર્થતંત્ર” વિષય પર જિંદાલ પોલિસી કોન્કલેવમાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ઉદ્ઘાટન પ્રવચન આપ્યું હતું.

યુવા સહભાગીઓને સંબોધતા, ડો. મુરુગને વિચારો, કલ્પના, સંસ્કૃતિ, નવીનતા અને બૌદ્ધિક સંપદા દ્વારા સંચાલિત ભારતના સર્જનાત્મક અર્થતંત્રના ઝડપી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મ, સંગીત, ગેમિંગ, એનિમેશન, ડિઝાઇન, પબ્લિશિંગ, જાહેરાત અને ડિજિટલ સામગ્રી સહિતના ક્ષેત્રો રોજગાર અને સાહસિકતા માટે નવી તકો ઊભી કરી રહ્યા છે.

ડો. મુરુગને નોંધ્યું હતું કે સર્જનાત્મક અર્થતંત્ર વૈશ્વિક જીડીપીમાં 3.1 ટકા અને વૈશ્વિક રોજગારમાં 6.2 ટકા યોગદાન આપે છે, જેમાં અંદાજિત 5.7 કરોડ ભારતીયો પહેલેથી જ સાંસ્કૃતિક અને સર્જનાત્મક વ્યવસાયોમાં કાર્યરત છે. ભારતનું મીડિયા અને એન્ટેનટેઈનમેન્ટ અર્થતંત્ર ₹2.5 લાખ કરોડ પર પહોંચ્યું છે.

યુવાન ભારતીયો માટેની તકો પર ભાર મૂકતા, તેમણે જણાવ્યું હતું કે એકલા AVGC ક્ષેત્રને 2030 સુધીમાં લગભગ 20 લાખ કુશળ વ્યાવસાયિકોની જરૂર પડવાની ધારણા છે. સરકારે ઉભરતી તકો માટે યુવાનોને તૈયાર કરવા માટે 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીસ અને AVGC ક્રિએટર લેબ્સ માટે સમર્થનની જાહેરાત કરી છે.

ડો. મુરુગને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સર્જનાત્મક અર્થતંત્રના વિકાસને કૉપિરાઇટ સંરક્ષણ, સર્જકો માટે વ્યાજબી વળતર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જવાબદાર ઉપયોગ સહિત યોગ્ય કાનૂની અને નીતિગત માળખાં દ્વારા ટેકો મળવો જોઈએ. તેમણે યુવાનોને આદર, કારણ અને પુરાવા સાથે ધારણાઓ અને સંસ્થાઓ સામે પ્રશ્નો પૂછવા અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે તેમના વિચારો અને કૌશલ્યોનું યોગદાન આપવા વિનંતી કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular