1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષણમંત્રીએ ધોરણ 3થી 8ના નબળા વિદ્યાર્થીઓને માટે સમયદાન આપવા શિક્ષકોને કરી અપીલ
શિક્ષણમંત્રીએ  ધોરણ 3થી 8ના નબળા વિદ્યાર્થીઓને માટે સમયદાન આપવા શિક્ષકોને કરી અપીલ

શિક્ષણમંત્રીએ ધોરણ 3થી 8ના નબળા વિદ્યાર્થીઓને માટે સમયદાન આપવા શિક્ષકોને કરી અપીલ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓ ભણી શક્યા નહતા. એટલે વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો કાચો રહ્યો છે. તેથી રાજ્ય સરકાર દ્વારા અભ્યાસમાં નબળા ગણાતા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક પણ ભણાવવામાં આવે તો નબળા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે તેમ છે. દરમિયાન તાજેતરમાં યોજાયેલા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહિવટી અધિવેશનમાં શિક્ષણ મંત્રીએ શિક્ષકોને નબળા વિદ્યાર્થીઓને ભણાવવા માટે સમયદાન આપવાની અપીલ કરી હતી. ઉપરાંત શાળાઓના પ્રશ્નોમાં આચાર્યોની ભરતી સહિતના પ્રશ્નોનો તાકિદે ઉકેલની ખાતરી પણ શિક્ષણમંત્રીએ આપી હતી.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકએ રાષ્ટ્રના આધાર સ્તંભ છે કેમ કે, દેશના નાગરિકોનું ચારિત્ર ઘડતર, સંસ્કારનું સિંચન કરવાનું, જ્ઞાનની જ્યોતિ પ્રજવલિત કરવાનું તેમજ રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. એટલે તો ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતા હૈ. વધુમાં શિક્ષક એ શિક્ષક નહી પરંતુ રાષ્ટ્ર નિર્માણ કરનારા ઘડવૈયા છે. ત્યારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવી માટે શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્ય કરવા શિક્ષકોને અપીલ કરૂ છું.

શિક્ષણમંત્રીએ કોરોનાકાળમાં શિક્ષણમાં નબળા રહી ગયેલા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે વિશેષ સમય આપીને ભણાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શિક્ષકોએ કરેલો સમયદાન તેમના ભાવી જીવનને નવી દિશા આપશે. અધિવેશનમાં શિક્ષકોએ શિક્ષણમંત્રીની અપીલને  ઉત્સાહભેર વધાવીને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સમયદાન કરવા તૈયારી બતાવી હતી.

શિક્ષક અને આચાર્ય સંઘની વિવિધ માંગણીઓના ઉકેલ માટે સરકાર કટીબદ્ધ હોવાથી જે પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે તેના ઠરાવ અને પરિપત્રો ટુંકમાં કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર રાજ્યની શાળાઓમાં આચાર્યની ઘટ દુર કરવામાં આવશે. વધુમાં વહિવટી કર્મચારીઓના પ્રશ્નો ઝડપી અને સંતોષકારક કરવાનું પણ શિક્ષણમંત્રીએ આશ્વાસન આપ્યું હતું. આ પ્રસંગે અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના મહામંત્રી ડો.પ્રિયવદન કોરાટ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ પ્રદિપસિંહ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગવાનભાઇ પ્રજાપતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code