Site icon Revoi.in

અમદાવાદમાં ફ્લાવર શોને ગત વર્ષ કરતા આ વર્ષે મળ્યો નબળો પ્રતિસાદ

Social Share

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ગત વર્ષ કરતા નબળો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો હતો, પરંતુ ચાલુ વર્ષે 2026માં માત્ર 78,000 જેટલા લોકોએ જ રજાના દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવેલો ફ્લાવર શો- 2026ને છેલ્લા બે વર્ષમાં મળતા પ્રતિસાદ કરતાં ચાલુ વર્ષે ખૂબ ઓછો પ્રતિસાદ મળ્યો છે. ચાલુ વર્ષે 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાગરિકો માટે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આયોજિત કરવામાં આવ્યો છે. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર હોવાના પગલે માત્ર 78,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકો આવતા રેકોર્ડ સર્જાયો હતો.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે 78 હજાર જેટલી ટિકિટો વેચાઈ હતી. જ્યારે બાળકો સાથે 85 હજાર લોકોએ મુલાકાત લીધી હતી, જ્યારે 15 જાન્યુઆરીએ સાંજે 8 વાગ્યા સુધીમાં 65 હજાર જેટલી ટિકિટો વેચાઈ હતી અને બાળકો સાથે 68થી 69 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધીમાં કુલ 4.81 લાખ ટિકિટોની મદદથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 5.10 કરોડ રૂપિયાની આવક થઈ છે. વીઆઈપી સ્લોટમાં 4 હજાર જેટલા લોકોએ મુલાકાત લેતા 12 લાખ રૂપિયાની આવક નોંધાઈ છે.

Exit mobile version