લખનૌઃ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા આપશે, એક ઉજવળ ભવિષ્ય તરફ લઈ જશે. આ પરિસર સાક્ષી છે, આપણા સામર્થ્યનું, આપણા કર્તવ્યનું, જો નક્કી કરી લેવાય તો અશક્ય કંઈ પણ નથી. દરેક ભારતવાસીઓના હાથમાં બળ છે જે અકલ્પનીયને સાકાર કરી દે છે. જ્યારે પણ કાશીએ કરવટ લીધી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છે, આપણે તપ જાણીએ છીએ, તપસ્યા જાણીએ છીએ, પડકાર ગમે એટલો મોટો કેમ ના હોય તમામ ભારતીયો એક થઈને તેને પરાસ્ત કરી શકે છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહુર્તમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે કહ્યું હતું કે, આ ભવ્ય ધામમાં ભકતોને ગૌરવનો અનુભવ થશે. હવે મંદિર અને મંદિર પરિસરમાં 50-60 હજાર શ્રદ્ધાળુઓ આવી શકે છે. બાબાની સાથે નગરના સિપાહી કાળભૈરવજીના દર્શન કરીને આવ્યો છું. દેશવાસીઓ માટે આશીર્વાદ લઈને આવ્યો છું. કાશીમાં કંઈ પણ ખાસ હોય, કંઈ પણ નવું હોય ત્યારે તેમની મંજુરી જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, જો આપ અહીં આવશો તો માત્ર આસ્થાના જ દર્શન નહીં થાય, આપને અહીંના અતિતના ગૌરવનો પણ અનુભવ પણ થશે. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એક સાથે સજીવ થઈ રહી છે, કેવી રીતે પુરાતનની પ્રેરણાં ભવિષ્યને દિશા આપે છ, કાશીના વિશ્વનાથ ધામનું આ નવુ પરિસર એ આપણી ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતિક છે. આપણી આધ્યાત્મિક આત્મા છે. આ પ્રતિક છે ભારતની પ્રાચીનતાનું, પરંપરાઓનું, ભારતની ઉર્જાનું, ગતિશિલતાનું, પહેલા અહીં મંદિર પરિસર માત્ર 3 હજાર વર્ગ ફુટ હતું. જે હવે લગભગ પાંચ લાખ વર્ગ ફુટ થઈ ગયું છે. હવે મંદિર અને મંદિર પરિસરમાં 50થી 75 હજાર શ્રદ્ધાળુઓ આવી શકશે. એટલે કે પહેલા મા ગંગાના દર્શન-સ્નાન અને ત્યાંથી સીધા વિશ્નાથ ધામ.
તેમણે વધુમાં કહ્યું કે, કાશી તો કાશી છે, કાશી તો અવિનાશી છે. કાશીમાં એક જ સરકારે છે. જેમના હાથમાં ડમરુ છે, એમની જ સરકાર છે. અહીં ગંગા પોતાની ધારા બદલીને વહે છે આવી કાશીને કોણ રોકી શકે છે. બનારસ એ નગર છે જ્યાં જગદગુરુ શંકરાચાર્યજીએ ડોમ રાજાની પવિત્રતાને પ્રેરણા મળી, તેમણે દેશને એકતાના સુત્રથી બાંધવાનો સંકલ્પ લીધો, આ એ જગ્યા છે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ જેવી અલૌકિક રચના કરી. છત્રપતિ શિવાજી મહારાજ પણ અહીં આવ્યાં હતા. રાણીલક્ષ્મી બાઈથી લઈને ચંદ્રશેખર આઝાદ સુધી અનેક સેનાનિઓની કર્મભૂમિ-જન્મભૂમિ કાશી રહી છે. ભારતેન્દુ હરિશ્ચંદ, જયશંકર પ્રસાદ, મુશી પ્રેમચંદ, પંડિત રવિશંકર અને બિસ્મિલ્લાહ ખાન જેવી પ્રતિમાએ કાશીનું નામ રોશન કર્યું છે.
કાશી અહિંસા, તપની પ્રતિમૂર્તિ ચાર જૈન તીર્થંકરોની ધરતી છે. રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાથી લઈને વલ્લભાચાર્યજી, રમાનન્દજીના જ્ઞાન સુધી, ચૈતન્ય મહાપ્રભુજી, સમર્થગુરુ રામદાસજીથી લઈને સ્વામી વિવેકાનંદજી, મદનમોહન માલવીયાજી સુધી અનેક ઋષિઓ, આચાર્યોનો સંબંધ કાશીની આ પવિત્ર ધરતી સાથે છે.
તેમણે વધુમાં કહ્યું કે, જો અહીં ઔરંગઝેબ આવ્યો છે તો શિવાજી પણ ઉભા થયાં છે. જો કોઈ સાલાર મસૂદ આ તરફ આગળ વધ્યો છે તો રાજા સુહેલદેવ જેવા વીર યોદ્ધાએ આપણી એકતાની તાકાતનો અનુભવ કરાવ્યો છે. અંગ્રેજોના શાસનમાં પણ વારેન હેસ્ટિંગની હાલત શું થઈ હતી તે કાશીના લોકો જાણે છે. અનેક લોકોએ આ નગરી ઉપર આક્રમણનો પ્રયાસ કર્યો, તેને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો, ઔરંગઝેબના અત્યાચાર, તેના આતંકનો આ ઇતિહાસ સાક્ષી છે. જેને સભ્યતાને તલવારના સહારે બદલવાની કોશિશ કરી, જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દેશની માટી દુનિયાથી કંઈક અલગ છે.