
અમદાવાદમાં મેટ્રોની કામગીરીને લીધે જીવરાજપાર્ક ઓવરબ્રીજ ચાર દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે
અમદાવાદ : શહેરમાં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મેટ્રોની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. એટલે મેટ્રોની બાકી કામગીરીમાં ઝડપ લાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના જીવરાજ પાર્ક ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મંગળવાર રાતના 10 વાગ્યાથી લઈને 10 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં મેટ્રો રેલનું કામ ચાલવાનું હોઈ શહેરીજનો આાગામી પાંચ દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ – બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા – વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ – ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા – ધરણીધર ચાર રસ્તા – સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી પહોંચાડશે.