1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે, જાણો કેમ ?
અમદાવાદના ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે, જાણો કેમ ?

અમદાવાદના ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે, જાણો કેમ ?

0
Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી ગાંધી આશ્રમ દેશ-દુનિયામાં જાણીતો છે. શહેરમાં બહારથી આવતા મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે. છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીઆશ્રમથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ નજીક આવેલા કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ રોડ બનાવવામાં આવ્યો છે. આગામી મહિને નવા રોડને ખુલ્લો મુકતા વાહનચાલકોએ રાણીપ ST બસ સ્ટેન્ડ અને આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ તરફ જવું પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. જેથી ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો હતો. જેના માટે આસપાસમાં રહેતા લોકો અને હોટેલ રેસ્ટોરન્ટના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોડ બંધ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ અંદાજિત 1 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આજે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના રોડને બંધ કરવાની કમિશનરને સત્તા આપવાની દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ આગામી મહિને અથવા તેના પહેલા આ રોડ બંધ કરી દેવામાં આવશે અને વૈકલ્પિક માર્ગ શરૂ કરી દેવાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ બંધ કરાશે. તેથી પાલડી, વાસણા, સરખેજ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ તેમજ પૂર્વના કેટલાક વિસ્તારોમાંથી કલેક્ટર કચેરીએ બસમાં આવનારા લોકોને હવે 50 મીટર જેટલું ચાલીને આવવું પડશે. હાલમાં એમટીએસ બસ સ્ટેન્ડ કલેક્ટર કચેરીની બહાર જ છે, પરંતુ હવે રોડ બંધ થશે જેથી આરટીઓ સર્કલ અથવા સુભાષ બ્રિજના છેડે આવેલા બસ સ્ટેન્ડ પર લોકોને ઉતરી અને ચાલીને આવવું પડશે. વૈકલ્પિક માર્ગ તરીકે રાણીપ એસટી બસ સ્ટેન્ડ પાસે રોડ ખોલવામાં આવ્યો છે. રોજના એક લાખ જેટલા વાહનો ત્યાંથી પસાર થશે. જોકે આ રોડ ઉપર સવારે અને સાંજના સમયે બંને ભયંકર ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. એક તરફ એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર આવતી બસો અને ત્રણ બાજુથી રોડ પરથી વાહનો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે તેમ લાગી રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code