
રાજ્યમાં 2000 નર્સની તાત્કાલિક ધારણે સીધી ભરતી કરાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે તમામ નાના-મોટા શહેરો અને ગામેગામ કોવિડની સારવાર માટેના કેર સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની અછત સરકારને સતાવી રહી છે. ત્યારે 2000 જેટલી નર્સિંગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો સરકારે નિર્ણય લીધો છે.
કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબો રાત દિવસ કામ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા કર્મચારીઓ પણ સંક્રમિત થતા નર્સિંગ સ્ટાફની અછત વર્તાઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.