1. Home
  2. ગુજરાતી
  3. વડોદરાના બે તબીબો પોતાની માતાના અવસાનના માત્ર 6 કલાકમાં ફરી કોવિડ દર્દીઓની સેવામાં લાગી ગયા

વડોદરાના બે તબીબો પોતાની માતાના અવસાનના માત્ર 6 કલાકમાં ફરી કોવિડ દર્દીઓની સેવામાં લાગી ગયા

0
Social Share

વડોદરાઃ  સંતાનો માટે માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.  વડોદરામાં ફરજ બજાવતા તબીબ પોતાની માતાના અવસાનના ખબર મળતા જ દોડીને ગાંધીનગર ગયા, જ્યાં માતાને અગ્નિસંસ્કાર આપીને તરત વડોદરા ખાતે ફરજ પર હાજર થઈ ગયા હતા. જ્યારે અનેય એક મહિલા તબીબ પણ માતાના અવસાનના 6 કલાકમાં પોતાની ફરજ પર હાજર થઈને દર્દીઓની સેવામાં લાગી ગયા હતા.

વડોદરાની સયાજી હોસ્પિટલના પી.એસ.એમ. વિભાગમાં કાર્યરત અને છેલ્લા લગભગ સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો.રાહુલ પરમારના માતાનું તાજેતરમાં અવસાન થયું હતું. વડોદરા ખાતે ફરજ બજાવતા આ તબીબના માતા ગાંધીનગર ખાતે રહેતા હતા. આ ખબર મળતા ભારે હૃદયે તેઓ ગાંધીનગર ગયા. માતાના અંતિમ સંસ્કારની ફરજ પુત્રવત પૂરી કરી અને વહેલી સવારે પાછા વડોદરા આવી ફરજ પર જોડાઈ ગયા. માતાનું અવસાન હૃદય દ્રાવક ઘટના છે. પરંતુ આ ભારે ખોટ તેમની ફરજ નિષ્ઠાને વિચલિત ન કરી શકી.

કદાચ તેમણે એવું માન્યું હશે કે આ કટોકટીના સમયે કોવિડ સેવાથી વધુ શ્રેષ્ઠ કોઈ શ્રધ્ધાંજલિ ન હોય શકે. આ તબીબના ફાળે ખૂબ જ અઘરી ગણી શકાય એવી કોવિડ ફરજ આવેલી છે. એમણે સારવાર દરમિયાન મૃત્યુના પ્રસંગે મૃતક દર્દીના સ્વજનોને આ સમાચાર આપવાની અને તમામ વિધિઓ પૂર્ણ કરાવી મૃતદેહ સોંપવાની ખૂબ કપરી ફરજો અદા કરવાની હોય છે.  શહેરના બીજા તબીબ સાથે પણ આવું જ બન્યુ હતું. સયાજી હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી કરતાં એસોસિયેટ પ્રોફેસર ડો.શિલ્પા પટેલ સાથે બન્યું.  વહેલી પરોઢના ત્રણ વાગ્યે તેમણે પણ પોતાની વ્હાલી માતા ગુમાવી. તેઓ ગમગીન હૃદયે અંતિમ સંસ્કારમાં જોડાયા અને માત્ર 6 કલાક પછી સવારે 9 વાગ્યા પાછા પૂર્વવત કોવિડ ડ્યુટીમાં લાગી ગયાં. આ બન્ને તબીબોએ આજીવન અંગત ખોટને જાણે કે દર્દી સેવાથી સરભર કરવાનો માર્ગ પસંદ કર્યો છે અને સમર્પિતતા અને સેવા નિષ્ઠાના બેજોડ દાખલા બેસાડ્યા છે.

આ સમય ખૂબ કપરો છે. પોતાના પરિવાર અને સંબંધોને ભૂલીને તબીબો અને આરોગ્ય સેવકો કોરોનાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમની આ ફરજ પરસ્તીને સમાજ યોગ્ય રીતે મૂલવે એ અનિવાર્ય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code