રાજકોટઃ મેગાસિટી ગણાતા રાજકોટ શહેરનો છેલ્લા એક દશકાથી સારોએવો વિકાસ થયો છે. શહેરની આજુબાજુ અનેક ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે શહેરના એરટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે રાજકોટથી મુંબઈ જવા માટે પ્રવાસીઓને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી મુંબઈ જવા માત્ર સાંજે જ બે ફ્લાઈટ ઉપલબ્ધ હતી. હવે ચાર ફ્લાઈયનો લાભ મળશે.
રાજકોટથી મુંબઈ વચ્ચે એર ફ્રિકવન્સીમાં વધારો થતાં પ્રવાસીઓને લાભ મળશે. હવે બે ફ્લાઈટ સવારે અને બે ફ્લાઈટ સાંજે એમ કુલ ચાર ફ્લાઈટ ઉપલબ્ધ થતા યાત્રિકોને રાહત થઇ છે. ચાર ફ્લાઈટ પૈકી ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 08.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 08.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. જ્યારે બીજી ફ્લાઈટ બપોરે 12.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 12.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. આ ઉપરાંત સાંજના સમયે એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઈટ 17.35 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી રાજકોટ આવવા ઉડાન ભરશે અને 17.40 કલાકે રાજકોટમાં લેન્ડ થશે. જ્યારે સાંજની બીજી ફ્લાઈટ ઈન્ડિગોની 18.40 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 19.10 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. છેલ્લા ઘણા સમયથી રાજકોટથી મુંબઈ જવા માટેની સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે માગણી ઊઠી હતી. સવારે ફ્લાઈટ શરૂ કરવામાં આવતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો સવારે ફ્લાઈટમાં મુંબઈ જઈને પોતાનું કામ પતાવીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત આવી શકશે. ઉલ્લેખનીય છે કે, હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ અન્ય શહેરોની પણ ફ્લાઈટ શરૂ થઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વેકેશનમાં હાલ રાજકોટથી ગોવાની ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે જે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે. ગોવા-રાજકોટ-ગોવાની ફ્લાઈટ ગોવાથી બપોરે 12.45 કલાકે ગોવા એરપોર્ટથી રાજકોટ આવવા ઉડાન ભરશે અને 13.15 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. સંભવત 45 મિનિટ બાદ રાજકોટથી ગોવા જવા માટે અ ફ્લાઈટ ઉડાન ભરશે.