યુકે જતાં મુસાફરોને 10 દિવસ હોમ કોરેન્ટાઈનના નિયમથી પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડશે
અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ દેશથી વિદેશ જતાં મુસાફરો માટે હજુ પણ કેટલાક દેશોએ કડક નિયંત્રણો લાદેલા છે. ઇંગ્લેન્ડ સરકારે ભારત સહિત દુનિયાના ચોક્કસ દેશમાંથી આવતા મુસાફરોએ કોરોનાની બન્ને વેક્સિન લીધી હોય તેમ છતાં તેમને 10 દિવસ હોમ કોરેન્ટાઇન રહેવાનું ફરજિયાત કર્યું છે. કોરેન્ટાઇન બાદ કોરોનાના ટેસ્ટ કરાવ્યા બાદ જ જે-તે મુસાફર યુકેમાં ફરી શકશે. ગવર્નમેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દુનિયાભરના દેશોને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામેનો જંગ જીતવા વેક્સિનેશન પર ભાર મૂકી રહ્યા છે ત્યારે જ ઇંગ્લેન્ડ સરકારે ભારત સહિત ચોક્કસ દેશોમાંથી ઇંગ્લેન્ડ આવનારા મુસાફરોએ ભલે વેક્સિન લઇ લીધી હોય તેમ છતાં ઇંગ્લેન્ડમાં પહોંચી 10 દિવસ ફરજિયાત હોમ કોરેન્ટાઇન રહેવું પડશે તેવું ફરમાન જારી કર્યું છે અને કડકાઇથી અમલ પણ શરૂ કરી દીધો છે. તેથી સ્ટુડન્ટ વિઝા કે અન્ય વિઝા પર ઇંગ્લેન્ડ જનારા મુસાફરોને હવે ફરજિયાત 10 દિવસ કોરેન્ટાઇન રહેવું પડશે. ઇંગ્લેન્ડ સરકારના આ નિર્ણયથી મુસાફરો પરેશાન થઇ રહ્યા છે પરંતુ તકેદારી માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ કોરોના ઘટતાં થોડા સમયથી અમદાવાદ અને ગુજરાતમાંથી લોકો જુદા જુદા વિઝા ઉપર અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડ જવા લાગ્યા હતા ત્યારે જ ઇંગ્લેન્ડ સરકારના આ નિર્ણયથી મુસાફરોની પરેશાની વધી છે.