- ટ્રક ડમ્પર પાછળ અથડાતા ટ્રકચાલકનું મોત,
- સાયકલસવારને ટ્રકે અડફેટમાં લેતા મોત,
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના હજીરા ખાતેથી ટ્રક લઈને પાંડેસરા તરફ આવી રહેલો ટ્રક ડમ્પર સાથે ટ્રકચાલકને થતા ગંભીર ઇજાને પગલે તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં પાંડેસરા ચારરસ્તા પાસેથી સાયકલ ઉપર જતા મિલ કામદારને ટ્રકચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં હજીરા ખાતે આવેલી જશોદાનગર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય શિવકુમાર જગજીવન શાહુ ટ્રક ડ્રાઇવિંગનું કામ કરી પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનનું ગુજરાન ચલાવતા હતા. શિવકુમાર હજીરા ખાતેથી ટ્રક લઈને પાંડેસરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન આભવા ચોકડી ખાતે બંધ હાલતમાં પડેલા ડમ્પર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શિવ કુમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પિતાના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ અંગે વધુ તપાસ ડ્રીમ સિટી પોલીસ કરી રહી છે.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, મૂળ બિહારના વતની અને હાલ પાંડેસરાના ગજાનંદનગરમાં 45 વર્ષીય મોહન શંકર શાહ પરિવાર સાથે રહેતા હતા. મોહનભાઈ ડાઈગ મિલમાં નોકરી કરી પત્ની અને બે પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. આજે નિત્યક્રમ મુજબ મોહનભાઈ સાયકલ પર મિલમાં નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન પાંડેસરા ચારરસ્તા પાસેથી પસાર થતા હતા. તે સમયે ટ્રકચાલકે મોહનભાઈને અડફેટે લેતાં ગંભીર ઈજાને પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.