
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જશે
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરી છે. ભાજપએ છ યાત્રાઓ કાઢવાનું નક્કી કર્યું છે. પાર્ટીના ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે- ભારતીય જનતા પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સ્તરે છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જવાશે. કાર્યકરોની તાકાત અને લોકોના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર 300થી વધુ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
સૂત્રોનું કહેવું છે કે રાજ્યમાં આ યાત્રાઓ કાઢવાનો નિર્ણય ભાજપ મુખ્યાલયમાં મળેલી એક્શન પ્લાન બેઠકમાં લેવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને ડૉ દિનેશ શર્મા, કેન્દ્રીય પ્રધાન અને વિધાનસભા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને બેઠકમાં હાજરી આપી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સ્તરે 6 યાત્રા કરીને યુપીના લોકો સુધી જશે.
ભાજપની રથયાત્રા યુપીના દરેક જિલ્લામાંથી પસાર થશે. અવધ, કાશી, ગોરખપુર, બ્રિજ, પશ્ચિમ અને બુંદેલખંડ વિસ્તારમાંથી યાત્રાઓ કાઢવામાં આવશે. મોટા નેતાઓ સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડશે. આ રથયાત્રાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ ભાગ લેશે.
સૂત્રોનું કહેવું છે કે આવતા અઠવાડિયે પીએમની યુપી મુલાકાતે આવે તેવી શકયતા છે. ગોરખપુરની સાથે બનારસમાં પણ આયોજિત થનારા કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારથી આ યાત્રાઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્થાન કરાવે તેવી શકયતા છે. યાત્રાઓના અંતે ભાજપ લખનૌમાં મોટી રેલી કરે તેવી સંભાવના છે.