આણંદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર રાત્રિના સમયે વાહનો પર પથ્થરમારાનો બનાવ બનતા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તુરંત જ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. જોકે, અજાણ્યા ઈસમો પોલીસને હાથ લાગ્યા નહોતા.
અમદાવાદ-વડોદરા હાઈવે પર સામરખા ગામ પાસે પથ્થરમારાના બનાવ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા હતા. એ સમયે આણંદ જિલ્લાથી થોડે આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. મેં આ અંગે વાહનમાંથી નીચે ઉતરીને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, સામરખા ગામની હદ પાસે કેટલાંક ઈસમો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી જેવા તહેવારોને લઈને લોકો જણસો લઈ જતા હોય લૂંટના ઈરાદે હુમલો કરાયો હોઈ શકે છે. જોકે, આ અંગેની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવતા તેઓએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અગાઉ પણ વાહનો પર પથ્થરમારાના બનાવો બનેલા છે, ત્યારે હાઈવે પર પોલીસનું પેટ્રોલિંગ સઘન બનાવવાની માગ ઊઠી છે.