ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે, વેક્સિનને લઈને માહિતી મેળવી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોવાનું જાણવા મળે છે. તેમજ અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ પહોંચી હતી. આ ઉપરાંત વેક્સિનને લઈને માહિતી મેળવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રના આદેશ અનુસાર રાજયમાં દર સપ્તાહે મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોરોના વેક્સિન અપાશે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે અમદાવાદની જીસીએસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ રસીકરણ મુદ્દે માહિતી મેળવી હતી. ડબલ્યુએચઓની ટીમે રસીકરણ યોગ્ય થાય છે કેમ તેની સમીક્ષા કરી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2.56 લાખ કેસ નોંધાયાં છે. જે પૈકી હાલ 6 હજાર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 2.45 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. બીજી તરફ આ મહામારીમાં 4367 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં હાલ 4.67 લાખ લોકો ક્વોરોન્ટાઈન છે.