છત્તીસગઢઃ અપહ્યુત પતિને મુક્ત કરાવવા પત્ની સંતાનોને લઈને નક્સલવાદીઓને મળવા ગઈ હતી
દિલ્હીઃ નક્સલવાદીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક પુલ નિર્માણ સ્થળ પરથી એન્જિનિયર અશોક પવાર અને કાર્યકર આનંદ યાદવનું અપહરણ કર્યું હતું. તેની પત્નીની વિનંતી બાદ નક્સલવાદીઓએ એન્જિનિયરને મુક્ત કર્યો હતો. પતિની મુક્તિ માટે એન્જિનિયરની પત્ની તેના બે માસૂમ બાળકો સાથે જંગલમાં નક્સલવાદીઓને મળવા ગઈ હતી. તે તેના પતિની મુક્તિની માંગ કરી રહી હતી. આ સાથે પત્નીએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે અશોકની મુક્તિ પછી અમે બધા અમારા પૈતૃક ઘરે મધ્યપ્રદેશ જતા રહીશું. બસ્તર રેન્જના આઈજી પી સુંદરરાજે જણાવ્યું કે બંને રાત્રે બેદરે કેમ્પ પહોંચ્યા હતા. તેમની હાલત હવે ઠીક છે. અમારી પ્રથમ પ્રાથમિકતા તેમને તબીબી સુવિધાઓ પૂરી પાડવાની છે.
આઈજીએ જણાવ્યું હતું કે, બંનેને કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા તે તાત્કાલિક જાણી શકાયું નથી એન્જિનિયર અશોકની મુક્તિના સમાચાર સાંભળીને સોનાલી અને તેના બાળકોમાં ખુશી ફેલાઈ છે. અપહરણના સમાચારથી એમપી સ્થિત તેમના પરિવારજનો ચિંતિત હતા. નક્સલવાદીઓએ પાંચ દિવસ પહેલા એન્જિનિયર અને મજૂરનું અપહરણ કર્યું હતું. આ દરમિયાન બંને વિશે કંઈ જાણી શકાયું નથી. બંને પીડિતો એમપીના રહેવાસી છે. અપહરણ બાદ માઓવાદીઓએ સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું હતું. તેમના માટે કોઈ માંગણી ન હતી કરાઈ. એવી અટકળો હતી કે બંનેને સરહદ પાર મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હોઈ શકે છે. સોનાલી પવાર અને તેની બે પુત્રીઓએ ગયા શનિવારે એક વીડિયો જારી કરીને પતિની મુક્ત કરવા અપીલ કરી હતી. સોનાલી માઓવાદીઓને મળવા અને અશોકની મુક્તિ માટે તેમને સમજાવવા જંગલમાં જવાનું નક્કી કર્યું હતું. તેમજ કેટલાક ગ્રામજનોને મળી હતી. એમ પણ કહ્યું કે એક વખત તેમને મુક્ત કરવામાં આવ્યા બાદ તે મધ્યપ્રદેશમાં તેના વતન પરત ફરશે. સોનાલીએ કહ્યું હતું કે મારા પતિ નિર્દોષ છે, તેઓ ત્યાં પોતાનું કામ કરતા હતા. કોઈ ગેરસમજ થઈ હોય તો માફ કરજો.