1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, અને 2000 સાધુ-સંતો જોડાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, અને 2000 સાધુ-સંતો જોડાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિને પરંપરાગત રથયાત્રા મહોત્સવ રંગેચંગે ઊજવાશે. ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી અષાઢી બીજના દિને શહેરની નગરચર્યાએ નિકળશે. જગન્નાથજીના મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 2000થી વધુ સાધુ-સંતો જોડાશે.

રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. જેમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે.

શહેરના જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રામાં ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાન માટેના વાઘા મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ત્રણ અલગ પરિવારો દ્વારા ભગવાનના વાઘાની યજમાની કરવામાં આવી છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત ફરે ત્યારે નેત્રોત્સવ, બીજા દિવસે સોનાવેશ, રથયાત્રાના દિવસે તેમજ રથયાત્રાના બીજા દિવસના ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.ભગવાનનો મુગટથી લઈ તમામ વસ્ત્રો સોમવારે મંદિરને સોંપવામાં આવ્યા હતા. રથયાત્રાના દિવસે ભગવાનની મંગળા આરતીના વાઘા શહેર ભાજપ મહામંત્રી ભૂષણ ભટ્ટના પરિવાર દ્વારા આપવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 29, 30 જૂન અને 1 જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જુને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. 29મી જૂનના રોજ સવારે 11 વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે.

બીજા દિવસે અષાઢી સુદ એકમના 30 જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે. 10.45 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે.  બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથ નું પૂજન અને આરતી કરવામાં આવશે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code