દેશમાં 90 લાખ હેલ્થ એન્ડ વેલનેમ સેન્ટરો કાર્યરત, બે વર્ષમાં 1.50 લાખ સેન્ટરોનું નિર્માણ કરાશે
અમદાવાદઃ દેશના 10 કરોડ પરિવારો આયુષ્યમાન ભારત યોજના લાભ મેળવી રહ્યા છે. દેશભરમાં 90 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેમ સેન્ટરો કાર્યરત કર્યા છે અને આગામી બે વર્ષમાં 1.50 લાખ સેન્ટરોનું નિર્માણ કરવાનો અમારો નિર્ધાર છે. તેમજ તબીબોની ઉપલબ્ધિ થાય એ માટે એમ.બી.બી.એસ.ની 80 હજાર બેઠકો ઉપલબ્ધ છે અને આગામી સમયમાં 1 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવાશે. નેશનલ હેલ્થમિશન અંતર્ગત દરેક રાજ્યમાં એક એઇમ્સ હોસ્પિટલ નિર્માણનું આયોજન છે. હાલ 22 જેટલી એઇમ્સ દેશભરમાં કાર્યરત કરી દેવાઇ છે. તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આયોજિત હોલિસ્ટીક હેલ્થકેર: ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ સમિટનુ ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ દેશના જવાનો જેમ સીમાની સુરક્ષા કરે છે એ રીતે આપ સૌ નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓનું ઉત્પાદન કરીને ઉત્તમ સેવાનું માધ્યમ બનાવીને જન સેવાનું અપ્રતિમ કાર્ય કરવાનું ફાર્માસ્યુટીકલ ઉત્પાદકોને આહવાન કર્યું હતું..
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કહ્યું કે, નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહે એ માટે 8500 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત કરી દેવાયા છે. ભારતમાં બનતી જેનરીક દવાઓ પૈકીની 40 ટકા દવાઓ અમેરિકામાં વપરાય છે. જેનરીક દવાઓનો ફાળો આજે દેશભરમાં 8 ટકાથી વધુ છે. દેશમાં 10 હજારથી વધુ એમ.એસ.એમ.ઇ. એકમો દ્વારા દવાઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી સમયે વેક્સીનની શોધ કરી ટૂંકા ગાળામાં વેકસીન ઉપલબ્ધ બનાવીને 150થી વધુ દેશોને આપણે રસી પૂરી પાડીને મદદ કરી છે. ફાર્મા ઉત્પાદકોએ રીસર્ચ કરી ભારતની પેટન્ટ ઉભી કરી દુનિયાને પહોંચાડી છે એ માટે કેન્દ્ર સરકાર રીસર્ચ પોલીસીની દિશામાં કામ કરી રહી છે ત્યારે આવનાર સમયમાં ભારત આ ક્ષેત્રે પણ વિશ્વને રાહ ચીંધશે.
આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોનું સેન્ટર પોઇન્ટ હોવાનો સ્પષ્ટ મત વ્યકત કરીને કહ્યું હતું કે દેશના કુલ વિસ્તારનો 6 ટકા ભૂ-ભાગ ધરાવતું ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં 1/3 એટલે કે 33 ટકા જેટલું યોગદાન આપીને અગ્રેસર બન્યું છે.