
અમદાવાદઃ પ્રદુષણનું સ્તર માપવા મુકાયેલી અનેક સિસ્ટમ બંધ હાલતમાં
અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સીટી અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદુષણનું સ્તર વધ્યું છે. પ્રદુષણમાં સતત ઘટાડો થાય તે માટે સરકાર અને મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ હવાનું પ્રદુષણ અંગે પ્રજાને માહિતી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં વાયુ પ્રદૂષણનો આંક દર્શાવતા બોર્ડ મુકવામાં આવ્યાં હતા. જો કે, જાળવણીના અભાવે હાલ અનેક બોર્ડ બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં દર વર્ષે દિવાળીના તહેવારો પર વાયુ પ્રદૂષણમાં વધારો થાય છે. શહેરમાં વર્ષ 2013માં 12 જેટલા સ્થળોએ વાયુ પ્રદૂષણનો આંક દર્શાવતા બોર્ડ મુકવામાં આવ્યા હતા. જેના આધારે શહેરના પ્રદૂષણ અંગે નાગરિકો આંકડાકીય વિગતો જાણી શકે. પરંતુ આ એર ઇન્ડેક્સ બંધ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. GPCB રિપોર્ટ મુજબ 38 સ્ટેશનોમાં નેશનલ એર ક્વોલિટી પ્રોગ્રામ હેઠળ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મદદથી હવાનુ ગુણવત્તા માપવામાં આવે છે. સ્ટેટ એર ક્વોલિટી મોનિટરીંગ પ્રોગ્રામ હેઠળ 24 સ્ટેશનો હવાની ગુણવતા માપે છે. જેમાં અમદાવાદમાં બહેરામપુરા, રખિયાલ, નારોલ અને કારગિલ ચાર રસ્તા પાસે એર ઈન્ડેક્સ માપવાની વ્યવસ્થા છે. પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં લગાવવામાં આવેલા બોર્ડ હાલ બંધ હાલતમાં હોવાના આક્ષેપ થી રહ્યાં છે.
વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, તંત્ર પ્રદુષણનું સ્તર ઘટાડવામાં નિષ્ફળ રહ્યું છે. જેથી વૃધ્ધો અને અન્ય લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેથી તંત્ર દ્વારા શહેરમાં પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવી જોઈએ.