
રણવીર સિંહની ફિલ્મ “જયેશભાઈ જોરદાર” તા. 13મીએ રિલીઝ થશે
મુંબઈ: બોલિવૂડ એક્ટર રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 13 મે 2022ના રોજ રિલીઝ થશે. રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને નવી રિલીઝ ડેટ મળી છે. ‘જયેશભાઈ જોરદાર’ હવે 13 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, તમે બોલીવુડમાં ગનવાળા હીરોથી લઈને ધનવાલા હીરો, ફન વાલા હીરો અને નચતા હીરો વગેરે જોયા છે. પરંતુ ના જોયો હોય તો આ એક એવો હિરો જે હીરોગિરીમાં આ તમામથી અલગ છે. તેમનું નામ જયેશભાઈ છે અને તેમનું કામ જોરશોર છે. યશરાજના 50 વર્ષ સાથે જયેશભાઈ જોરદાર 13મી મેના રોજ મોટા પડદા પર આવી રહ્યા છે. જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહ ગુજરાતીનું પાત્ર ભજવતો જોવા મળશે.
જયેશભાઈ જોરદાર આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી, પરંતુ ઓમિક્રોનના ડરને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર હવે પ્રતિબંધો હળવા કરી રહ્યું છે અને સિનેમાઘરોને 100 ટકા ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપી રહ્યું છે. આ જ કારણ છે કે મોટા બજેટની બોલિવૂડ ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી રહી છે. મનીષ શર્મા દ્વારા નિર્મિત જયેશભાઈ જોરદાર હવે 13 મે, 2022 ના રોજ રિલીઝ થશે.