![બેઠાળુ જીવન કેમ ન હોવું જોઈએ? આ છે પાછળના કારણ](https://www.revoi.in/wp-content/uploads/2022/05/Motapo.jpg)
બેઠાળુ જીવન કેમ ન હોવું જોઈએ? આ છે પાછળના કારણ
- બેઠાળુ જીવન ન હોય તે સારુ
- અનેક બીમારીથી રહેવાય છે દૂર
- બેઠાળુ જીવન એટલે અનેક રોગને આમંત્રણ
ભાગદોડ વાળી નોકરીમાં દરેક લોકો ઈચ્છતા હોય છે કે તેમને ટેબલ ખુરશીવાળી નોકરી મળે અને આરામથી બેઠા બેઠા કામ કરે. મોટાભાગના લોકોને આ પ્રકારનું જીવન પણ પસંદ હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે બેઠાળુ જીવન પસંદ કર્યા પછી અથવા તેની આદત પડી ગયા પછી કેટલીક તકલીફ થતી હોય છે.
બેઠાળુ જીવન ન હોવું જોઈએ તેની પાછળનું સૌથી પહેલું કારણ એ છે કે આના કારણે મેદસ્વીતા આવી જાય છે. આજના યુગમાં મેદસ્વીતા એ નાના બાળકોથી માંડી મોટી વયના વ્યક્તિઓ માટે એક પડકારરૂપ સમસ્યા છે. મેદસ્વીતાના મુખ્ય કારણ બેઠાળુ જીવન, વધુ કેલરીયુક્ત ખોરાકનું સેવન તથા અમુક કિસ્સાઓમાં અંતહસ્ત્રાવી ગ્રંથીઓના રોગો જવાબદાર છે. મેદસ્વીતાથી બ્લડપ્રેશર, હૃદય રોગ, કેન્સર તથા ડિપ્રેશન જેવા રોગોનું જોખમ વધી જાય છે. નિયમિત કસરત , હલનચલન, યોગ્ય ખોરાક એ મેદસ્વીતાથી બચવાના ઉપાયો છે. મીઠાઈ, ફરસાણ, બેકારીની વસ્તુઓ, આઈસક્રીમ તથા ખુબ કેલરીવાળા પદાર્થોનું સેવન નિયંત્રિત કરવું. ખુબ વજન ધરાવતી વ્યક્તિએ ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે.
આ ઉપરાંત બેઠાળુ જીવનના કારણે ડાયાબીટીશની પણ સમસ્યા રહે છે અને તે પણ ખુબ જોખમી છે. ડાયાબીટીસ (મધુપ્રમેહ) ને હૃદયરોગ સમકક્ષ રોગ તરીકે ગણી શકાય. ડાયાબિટીસના દર્દીમાં સામાન્ય માણસ કરતા હૃદયરોગનું જોખમ ૨ થી ૪ ગણું વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીમાં જો દુખાવાના જ્ઞાનતંતુ નબળા પડી ગયા હોય તો ઘણી વખત હૃદયરોગના હુમલા દરમ્યાન છાતીમાં તીવ્ર દુખાવો જ થતો નથી જેને સાયલન્ટ અટેક તરીકે ઓળખવામાં આવે છે.