
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધામાં 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
સુરેન્દ્રનગરઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોલ, વઢવાણ ખાતે જિલ્લાકક્ષાના નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોલ, વઢવાણ ખાતે જિલ્લાકક્ષાના નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી, આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓ, સંસ્થાઓ તથા કલાવૃંદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જિલ્લા બહારના ત્રણ વિષય તજજ્ઞને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ સ્પર્ધામાં ગોવાળિયો રાસ ગ્રુપ પ્રથમ સ્થાને, શક્તિપરા માલધારી રાસ મંડળ દ્વિતિય સ્થાને તથા ભરવાડ માલધારી રાસ મંડળ તૃતીય સ્થાને વિજેતા થયા હતા. જ્યારે પ્રાચીન ગરબા સ્પર્ધામાં કે. પી. ગર્લ્સ હાઇસ્કુલ વઢવાણ પ્રથમ સ્થાને, ઇન્ડિયન પબ્લિક સ્કુલ સુરેન્દ્રનગર દ્વિતીય સ્થાને તથા શ્રી વડવાળા સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સુરેન્દ્રનગર તૃતીય સ્થાને વિજેતા થયા હતા.
આ રાસ સ્પર્ધા માટે 14થી 40 વર્ષ તેમજ ગરબા સ્પર્ધા માટે 14થી 35 વર્ષ વયજુથની મર્યાદા રાખવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સ્પર્ધાઓમાં સ્પર્ધકોની સંખ્યા 12થી 16 અને સહાયકોની સંખ્યા 4 નક્કી કરવામાં આવી હતી, જ્યારે સમય મર્યાદા 6થી 10 મિનિટ રાખવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં 14 ગ્રૂપોએ પોતાની કૃતિઓની રજૂઆત દરમિયાન પ્રાચીન રાસ-ગરબાને જીવંત કર્યા હતા. આ સ્પર્ધામાં અંદાજિત 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતા. રાસ ગરબાની પરંપરાને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.