બાયો ટેરરિઝમઃ એરંડીયાની મદદથી બનાવવામાં આવતા ઝેરનો એન્ટીડોટ ન હોવાનો ખુલાસો
નવી દિલ્હી: દેશમાં બાયો-ટેરરિઝમને લઈને અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી હતી અને મોટા કાવતરાને નિષ્ફળ બનાવીને 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. હૈદરાબાદના 35 વર્ષીય ડૉક્ટર અહમદ મોહિયુદ્દીન સૈયદની ધરપકડ સાથે આ કેસ વધુ ગંભીર બન્યો છે. તપાસમાં ખુલ્યું છે કે સૈયદ ઘાતક રિસિન વિષ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને દેશના અનેક મોટા બજારો તથા ભીડભાડવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી ચૂક્યો હતો. ત્યારે દેશમાં જૈવિક આતંકવાદને લઈને ચર્ચાનો મુદ્દો બન્યો છે. દરમિયાન એમ્સના નેશનલ પોઇઝન ઇન્ફોર્મેશન સેન્ટરના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. વાય.કે. ગુપ્તાએ રિસિન વિશે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે રિસિન એક અત્યંત પ્રાણઘાતક પ્રોટીન આધારિત ટૉક્સિન છે, જે અરંડીયા (કાસ્ટર)ના બીજોમાં કુદરતી રીતે જોવા મળે છે.
તેમના જણાવ્યા પ્રમાણે, રિસિન શ્વાસ દ્વારા, ચામડીના સંપર્કથી અથવા ખોરાક મારફતે શરીરમાં પ્રવેશી શકે છે. પ્રથમ અસર શ્વસન તંત્ર પર જોવા મળે છે, શ્વાસ લેવામાં તકલીફ, શ્વસન અસફળતા વગેરે. કેન્દ્રિય તંત્રિકા તંત્ર (CNS) પર અસર થવાથી ઝટકા, બેહોશી જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. બીજ ખાવામાં આવે તો તો ઊલટી, ઝાળા, ભારે બ્લડ પ્રેશર ડ્રૉપ અને અંગો નિષ્ફળ થવાનો ખતરો ઊભો થાય છે. સૌથી ચિંતાની વાત એ છે કે રિસિન માટે કોઇ ખાસ એન્ટીડોટ ઉપલબ્ધ નથી.
ડૉ. ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે કે, ભૂતકાળમાં, ખાસ કરીને 1970ના દાયકામાં, આ ટૉક્સિનનો હત્યાઓમાં ઉપયોગ થયો હતો. તેમ છતાં રસોઈ માટે વપરાતા કાસ્ટર ઑઇલ અને પશુચારા માટે તૈયાર થતો કાસ્ટર-કેક રિસિનમુક્ત રહે છે. એ.ટી.એસે આરોપી સૈયદ પાસેથી હથિયારો અને ચાર લીટર કાસ્ટર ઑઇલ જપ્ત કર્યું છે. તપાસ અધિકારીઓ અનુસાર આ સામગ્રીમાંથી કાસ્ટર ઑઇલ તેના આશયનું પ્રારંભિક સંકેત માનવામાં આવી રહ્યું છે.
સૈયદ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે ISKP તથા પાકિસ્તાનમાં સ્થિત હેન્ડલરોના સંપર્કમાં હતો અને મોટા પાયે બાયોલોજિકલ હુમલો કરવાનો પ્લાન તૈયાર કરી રહ્યો હતો. આ ઘટનાઓ બાદ કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઇ ગઈ છે. ગુપ્તચર સંસ્થાઓ સંભવિત બાયો-ટેરર ખતરાઓને ધ્યાનમાં રાખી દેશવ્યાપી મોનિટરિંગ અને કોઓર્ડિનેશન મજબૂત કરી રહી છે.


