T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પર હવે રમત કરતા રાજકારણ વધુ હાવી થઈ રહ્યું હોય તેવું જણાય છે. બાંગ્લાદેશના બહિષ્કાર બાદ હવે પાકિસ્તાને પણ ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ ગંભીર વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે રમતગમતના થઈ રહેલા રાજકીયકરણને “શરમજનક” ગણાવ્યું છે.
મીડિયા સાથે વાત કરતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, “સાચું કહું તો, એ ખૂબ જ શરમજનક છે કે બંને તરફથી રમતનું આ રીતે રાજકીયકરણ કરવામાં આવ્યું છે. મને નથી લાગતું કે બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતામાં રમવાનો કોન્ટ્રેક્ટ આપવાનો ઇનકાર કરવો જોઈતો હતો. તે ખૂબ જ કમનસીબ નિર્ણય હતો.”
મુસ્તફિઝુરનો કોન્ટ્રેક્ટ રદ થયા બાદ બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે થરૂરે ઉમેર્યું કે, “મને લાગે છે કે બાંગ્લાદેશની પ્રતિક્રિયા જરૂરિયાત કરતા વધુ પડતી હતી, પરંતુ તે અગાઉ બનેલી ઘટનાઓનું જ પરિણામ છે. હવે પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે એકજૂથતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સમગ્ર મામલો હવે હાથમાંથી નીકળી રહ્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આપણે સમજવાની જરૂર છે કે રમત, ખાસ કરીને ક્રિકેટ જે તમામ લોકો માટે આટલું મહત્વનું છે, તે મેદાન પર આપણને સાથે લાવવાનું માધ્યમ હોવું જોઈએ, નહીં કે વિવાદોનું.”
શશિ થરૂરે આ વિવાદને તાત્કાલિક ઉકેલવા માટે અપીલ કરતા કહ્યું કે, “આ તમામ સંબંધિત પક્ષો માટે હવે ‘વેક-અપ કોલ’ છે. ICC આ માટે એક પ્લેટફોર્મ બની શકે છે જ્યાં તમામ દેશોએ તાત્કાલિક સંપર્ક સાધવો જોઈએ. આપણે બસ એટલું જ કહેવાની જરૂર છે કે – ‘ચલો, હવે આ બકવાસ બંધ કરો.’ તમે હંમેશા આ રીતે ન ચાલી શકો.” અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના આ કડક વલણને કારણે વર્લ્ડ કપના આયોજન અને તેનાથી થતી કરોડોની આવક પર જોખમ ઊભું થયું છે. હવે જોવાનું એ રહેશે કે ICC આ મામલે મધ્યસ્થી કરીને કોઈ ઉકેલ લાવે છે કે કેમ.


