એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 23 આરોપી દોષમુક્ત જાહેર, આપ નેતા થયા ભાવુક
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Kejriwal acquitted in excise scam દિલ્હી શરાબ કૌભાંડના આરોપીઓને અદાલતે દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 સામે આરોપ ઘડાયા હતા પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તમામને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા અને પોતે પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું.
જે સમયે આ કૌભાંડ જાહેર થયું ત્યારે મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી હતા અને આબકારી વિભાગ તેમના હસ્તક હતો. જોકે, કોર્ટે ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઈનકાર કરીને તમામને દોષમુક્ત જાહેર કરી દીધા છે.
અદાલતે તેના નિર્ણયમાં જણાવ્યું કે, એક્સાઈઝ નીતિ – આબકારી નીતિમાં કોઈ કાવતરું કે અપરાધિક ઈરાદો નહોતો. અને તેથી તમામ 23ને આરોપમુક્ત કરવામાં આવે છે.
સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે કહ્યું કે, મેં સોગંદનામું માગ્યું હતું પરંતુ સીબીઆઈ તરફથી આપવામાં આવ્યું નથી. તેના જવાબમાં સીબીઆઈના વકીલે કહ્યું કે, કોર્ટની સૂચના મુજબ એ સોગંદનામું બંધ કરવામાં આપવામાં આવેલું હતું.
કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કેજરીવાલ, સિસોદિયા સહિત આપના નેતાઓ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા જ્યાં પરિવારજનોએ ખૂબ ભાવુક સ્થિતિમાં સૌને આવકાર્યા હતા.
તે પહેલાં કોર્ટમાંથી બહાર નીકળેલા કેજરીવાલ મીડિયા સમક્ષ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને દાવો કર્યો હતો કે પોતે પ્રામાણિક છે અને તેમને રાજકીય કાવતરાના ઈરાદાથી ફસાવવામાં આવ્યા હતા.


