બંગાળમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છેઃ પીએમ મોદી
કોલકાતા, 14 માર્ચ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કંઈક અલગ અંદાજમાં કર્યો છે. તેમણે બંગાળના હિન્દુઓની અતિશય કફોડી હાલત વિશે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ નિવેદન કરીને એક સંદેશ આપ્યો છે.
કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળમાં હિંદુઓને લઘુમતીમાં આવી જાય તેવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છે. હવે બંગાળમાંથી નિર્મમ સરકારનો અંત આવીને રહેશે. હવે બંગાળમાંથી ‘મહાજંગલરાજ’નો ખાત્મો થશે… ગઈકાલે TMCએ આ રેલીમાં આવનારા તમારા બધા માટે ‘ચોર’ શબ્દનો ઉપયોગ કરીને ગાળ આપી છે, અસલી ચોર કોણ છે તે બંગાળની પ્રબુદ્ધ જનતા જાણે છે. પોતાની ખુરશી જતી જોઈને અહીંની નિર્મમ સરકાર અકળાઈ ગઈ છે. તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓ રોકી રહ્યા છે. તેમણે રાજ્યની તિજોરીમાંથી એક રૂપિયો પણ આપવાનો નથી, છતાં તેઓ નથી ઈચ્છતા કે કેન્દ્રની યોજનાઓનો લાભ બંગાળના લોકોને મળે.
પીએમ મોદીએ કહ્યું કે, આ TMC સરકાર પોતાની સ્વાર્થની રાજનીતિને કારણે અહીં આયુષ્માન ભારત યોજના પણ લાગુ કરી રહી નથી. દેશભરના કરોડો લોકો આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ ઉઠાવી રહ્યા છે. આ લાભ તમને સૌને પણ મળવો જોઈએ. પરંતુ બંગાળના પરિવારોને આ યોજનાના અધિકારથી પણ TMC સરકારે વંચિત રાખ્યા છે.
પીએમ મોદીએ કહ્યું- તમે સૌએ દેશભરમાં વડાપ્રધાન આવાસ યોજનાની સફળતા વિશે સાંભળ્યું છે. ગરીબ પરિવારોને પાકું ઘર મળી રહ્યું છે. પરંતુ અહીં શું થયું? યોજનાનું નામ બદલી દેવામાં આવ્યું, લાભાર્થીઓની યાદીમાં ગેરરીતિ કરવામાં આવી અને જે ગરીબોને ઘર મળવાનું હતું તેઓ આજે પણ રાહ જોઈ રહ્યા છે. માત્ર વીજળી, પાણી, રસ્તા, ઘરની વાત નથી, TMC સરકાર પોતાની રાજનીતિના કારણે આયુષ્માન યોજનાને પણ લાગુ કરી રહી નથી.
ટ્રાફિક જામ કરાવ્યો, ભાજપના ઝંડા ઉખેડી નાખ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે પણ આ વિશાળ સભાને રોકવા માટે નિર્મમ સરકારે તમામ કાવાદાવા કરી ચૂકી છે. સભામાં હાજર લોકોને સંબોધતા તેમણે જણાવ્યું કે, તમને આવતા રોકવા માટે બ્રિજ બંધ કરાવી દીધા, ગાડીઓ રોકાવી દીધી, ટ્રાફિક જામ કરાવ્યો, ભાજપના ઝંડા ઉખેડી નાખ્યા, પોસ્ટરો કઢાવી નાખ્યા પણ નિર્મમ સરકાર સાફ-સાફ જોઈ લે- આજની જનમેદનીને રોકી શકી નથી. બંગાળમાં મહાજંગલરાજ લાવનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તે દિવસ દૂર નથી જ્યારે બંગાળમાં ફરી કાયદાનું શાસન હશે. પીએમ મોદીએ કહ્યું કે હવે બંગાળનો વિકાસ નેક નિયતથી થશે, યોગ્ય નીતિઓથી થશે, બંગાળમાં અત્યારે અમારી સરકાર નથી પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ભાજપ બંગાળના વિકાસમાં લાગેલી છે… અત્યારે અમે 18,000 કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું છે…
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનો ઈતિહાસ યાદ અપાવ્યો
પીએમ મોદીએ કહ્યું- બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બંગાળ દેશને દિશા આપે છે, ત્યારે આ બ્રિગેડ મેદાન બંગાળનો અવાજ બને છે. આ મેદાન પરથી અંગ્રેજી શાસન વિરુદ્ધ ઉઠેલો અવાજ હિંદુસ્તાનમાં ક્રાંતિ બની ગયો હતો અને તેનું પરિણામ શું આવ્યું – અંગ્રેજોના અત્યાચાર અને લૂંટનો અંત આવ્યો. આજે અહીંથી નવા બંગાળની ક્રાંતિનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. બંગાળમાં બદલાવ હવે દિવાલો પર પણ લખાઈ ચૂક્યો છે અને બંગાળના લોકોના દિલમાં પણ છપાઈ ગયો છે.
નિર્મમ સરકારે બંગાળના યુવાનોને સ્થળાંતરનો શ્રાપ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીંની નિર્મમ સરકારે બંગાળના યુવાનોને સ્થળાંતર (પલાયન) નો શ્રાપ આપ્યો છે. બંગાળનો યુવાન પ્રતિભામાં સૌથી આગળ છે, મહેનતમાં સૌથી આગળ છે… પરંતુ આજે હાલત શું છે? અહીંનો યુવાન ન તો ડિગ્રી મેળવી શકે છે અને ન તો તેને રોજગાર મળી રહ્યો છે… પહેલા કોંગ્રેસ, પછી કોમ્યુનિસ્ટ અને હવે TMC, આ લોકો એક પછી એક આવતા રહ્યા અને પોતાના ખિસ્સા ભરતા રહ્યા અને બંગાળમાં વિકાસના કાર્યો ઠપ્પ રહ્યા. TMC સરકારમાં નોકરીઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે, ભરતીઓમાં કૌભાંડો થઈ રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે સ્થિતિ બદલાય.
આ પણ વાંચોઃ VIDEO ઈરાન યુદ્ધની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ રાયપુર ભજિયા હાઉસ સુધી પડી, જાણો શું થયું?
ભાજપ અને NDA સાથે મહિષાસુર મર્દિનીના આશીર્વાદ: અહીંની નિર્મમ સરકાર હવે ગમે તેટલું જોર લગાવી લે, પરિવર્તનની આ આંધીને તે હવે રોકી શકશે નહીં. ભાજપ અને NDA સાથે મહિષાસુર મર્દિનીના આશીર્વાદ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઋષિ બંકિમચંદ્ર, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખુદીરામ બોઝ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવી તમામ મહાન વિભૂતિઓએ જે બંગાળની કલ્પના કરી હતી, ભાજપની સરકાર તે બંગાળનું નિર્માણ કરશે, નવનિર્માણ કરશે.
સ્થળાંતર કરવું મજબૂરી બની: એક સમયે બંગાળ આખા ભારતને ગતિ આપતું હતું, બંગાળ વેપાર અને ઉદ્યોગોમાં સૌથી આગળ હતું. પરંતુ આજે અહીંનો યુવાન ન તો ડિગ્રી મેળવી શકે છે અને ન તો તેને રોજગાર મળી રહ્યો છે. તમારા દીકરા-દીકરીઓએ કામની શોધમાં બીજા રાજ્યોમાં સ્થળાંતર કરવું પડે છે.
આ TMC વાળા ન પોતે કામ કરશે, ન કરવા દેશે: પહેલા કોંગ્રેસ, પછી કોમ્યુનિસ્ટ અને હવે TMC… આ લોકો એક પછી એક આવતા રહ્યા… પોતાના ખિસ્સા ભરતા રહ્યા… અને બંગાળમાં વિકાસના કામ ઠપ્પ પડ્યા રહ્યા. હવે TMC સરકારનો એક જ એજન્ડા છે. આ TMC વાળા ન પોતે કામ કરશે, ન કરવા દેશે. જ્યાં સુધી તેમને પોતાનું ‘કટમની’ ન મળે, ત્યાં સુધી તેઓ કોઈપણ યોજનાને ગામડાં કે ગરીબ સુધી પહોંચવા દેતા નથી. તેથી TMC સરકાર કેન્દ્રની યોજનાઓને રોકી રાખે છે.
આ પણ વાંચોઃ દુનિયાના આ 36 દેશ જ્યાં નથી સૈન્ય – નથી લશ્કર પાછળનો કોઈ ખર્ચ છતાં અનુભવે છે સલામતી
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મુર્મૂનો મુદ્દો ઉઠાવ્યો: પીએમ મોદીએ કહ્યું- રાષ્ટ્રપતિ બંગાળ આવ્યા હતા, પરંતુ અહંકારમાં ડૂબેલી આ નિર્મમ સરકારે માત્ર કાર્યક્રમનો બહિષ્કાર જ ન કર્યો પણ ગેરવ્યવસ્થા પણ કરી. એક આદિવાસી દીકરી આટલા મોટા પદ પર છે તે તેમનાથી જોઈ શકાયું નહીં. TMC વાળાએ યાદ રાખવું પડશે કે તેમણે માત્ર દ્રૌપદી મુર્મૂજીનું અપમાન નથી કર્યું, દેશના બંધારણનું અપમાન કર્યું છે. તેનો જવાબ નિર્મમ સરકારને મળવાનો છે.
અહીં વીજળી બિલ ઝીરો કેમ નથી આવતું: પીએમ મોદીએ કહ્યું- દેશવાસીઓને મફત વીજળી આપવા માટે અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. કેન્દ્રની ભાજપ સરકાર આ માટે દરેક લાભાર્થીને 75 થી 80 હજાર રૂપિયા આપે છે. જે લાભાર્થી આ યોજના સાથે જોડાય છે, તેના ઘરનું વીજળી બિલ ઝીરો થઈ જાય છે. પરંતુ, બંગાળ સરકાર તેને પણ લાગુ થવા દેતી નથી.
TMCએ લેફ્ટના ગુંડાઓ અને માફિયાઓને જ પોતાની પાર્ટીમાં ભરતી કરી લીધા
પીએમ મોદીએ કહ્યું- આપણા બંગાળે આઝાદી પછી વિભાજન સહન કર્યું, ધાર્મિક રમખાણો જોયા, પછીના દાયકાઓમાં અસ્થિરતા જોઈ, ઘૂસણખોરીનો દોર જોયો, રક્તપાત સહન કર્યો. આ બધાની સૌથી મોટી ભોગ બનનાર બંગાળની માતાઓ-બહેનો, દીકરીઓ અને બંગાળની મહિલાઓ હતી. લેફ્ટની સરકારમાં અપહરણ, હત્યા અને બળાત્કારનો તે દોર કોઈ ભૂલી શકતું નથી. તેથી તમે લોકો મોટી આશા સાથે લેફ્ટને હટાવીને TMC ને લાવ્યા. પરંતુ TMCએ લેફ્ટના ગુંડાઓ અને માફિયાઓને જ પોતાની પાર્ટીમાં ભરતી કરી લીધા. આજે બંગાળમાં અપરાધીઓને છૂટો દોર છે. રોજેરોજ બહેન-દીકરીઓ વિરુદ્ધ હૃદય હચમચાવી દેનારા અપરાધો થાય છે. બંગાળનો કોઈ વિસ્તાર આવી ઘટનાઓથી બાકાત નથી.


