નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: ન્યુઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના મુક્ત વેપાર કરાર (FTA) પર મહોર લગાવી દીધી છે. સંસદમાં આ કરારની તરફેણમાં 93 અને વિરુદ્ધમાં 29 મત પડ્યા હતા. વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મતદાન કરાર અને તેના સંભવિત આર્થિક લાભો પ્રત્યે સંસદના મજબૂત સમર્થનને દર્શાવે છે.
મંત્રી મેકલેના જણાવ્યા અનુસાર, આ FTA ન્યુઝીલેન્ડના નિકાસકારોને વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક એવા ભારતીય બજારમાં સરળ પ્રવેશ અપાવશે. કરાર અમલમાં આવતાની સાથે જ ન્યુઝીલેન્ડની 57 ટકા નિકાસ ટેરિફ-મુક્ત થઈ જશે. જ્યારે આ કરાર સંપૂર્ણપણે લાગુ થશે, ત્યારે અંદાજે 95 ટકા નિકાસ પરથી ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ થશે અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
આ કરાર થકી ન્યુઝીલેન્ડના વેપારીઓને ઝડપી સરહદ ક્લિયરન્સ અને ભારતના વિશાળ મધ્યમ વર્ગ સુધી સીધી પહોંચ મળશે. ભારતનું આ મધ્યમ વર્ગ ખોરાક, ટેકનોલોજી, શિક્ષણ, પર્યટન અને વ્યાવસાયિક સેવાઓની માંગમાં સતત વધારો કરી રહ્યો છે.
માર્ચ 2025 માં આ વાટાઘાટોની જાહેરાત કરવામાં આવી હતી, અને સરકાર આ વર્ષના અંત સુધીમાં આ કરારને સંપૂર્ણપણે લાગુ કરવા માટે આશાવાદી છે. આ સમજૂતી વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનના સંયુક્ત લક્ષ્યને વેગ આપશે. પોતપોતાની મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ કરાર અમલમાં આવશે.
વેસ્ટપેક ઇન્સ્ટિટ્યૂશનલ બેંકના તાજેતરના અહેવાલમાં પણ ભારતની આર્થિક તાકાતને ન્યુઝીલેન્ડ માટે વ્યૂહાત્મક ભાગીદારી ગણાવવામાં આવી છે. આ અહેવાલ મુજબ, ભારતનું 1.4 અબજ લોકોનું વિશાળ બજાર આગામી દાયકામાં ન્યુઝીલેન્ડના જીડીપી (GDP) માં આશરે 0.1 ટકાનો વધારો કરવામાં મોટું યોગદાન આપી શકે છે.


