રિવોઈ ન્યૂઝ, 16 સપ્ટેમ્બર, 2026 – Decline in gold imports ગયા મહિને અર્થાત ઓગસ્ટ-2026માં સોનાની આયાતમાં અંદાજે 58 ટકાનો ઘટાડો નોંધાયો છે. આયાતમાં આ ઘટાડાને કારણે એક સંભાવના એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશના નાગરિકોએ સોનાની ખરીદી ઘટાડવા માટેની પીએમ નરેન્દ્ર મોદીની અપીલને માન આપ્યું છે.
જોકે, સ્થિતિ સાવ એવી નથી. બજારના સૂત્રોનું કહેવું છે કે ગ્રાહક બજારમાંથી ગાયબ નથી થયો, પરંતુ મોંઘા સોનાને કારણે ઓછા વજનના દાગીના ખરીદીને પોતાનું બજેટ સંભાળી રહ્યો છે. ઓગસ્ટમાં ભારતની સોનાની આયાતમાં 57.75 ટકાનો મોટો ઘટાડો થયો હતો અને આયાત ઘટીને અંદાજે 2.3 અબજ ડૉલર રહી ગઈ હતી. આ આંકડો સામે આવતા જ સવાલ ઊભો થાય છે કે શું ભારતીયોએ સોનું ખરીદવાનું બંધ કરી દીધું છે?
હકીકતમાં, સોનાના ઊંચા ભાવને કારણે ગ્રાહકો પોતાની ખરીદીની પદ્ધતિ બદલી રહ્યા છે. જ્યાં પહેલાં વધુ વજનના દાગીના ખરીદવામાં આવતા હતા, ત્યાં હવે એ જ બજેટમાં હળવા (લાઇટવેઇટ) દાગીના લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સોનાની આયાત ઘટી તો ખરીદી પણ ઓછી થઈ ગણાય?
વિદેશથી ભારતમાં સોનું આવવું અને દુકાનેથી ગ્રાહકે સોનું ખરીદવું—એ બંને અલગ બાબતો છે. આયાત ઘટવાનો અર્થ એવો બિલકુલ નથી કે દુકાનો પર સોનાની ખરીદી પણ એ જ પ્રમાણમાં ઘટી ગઈ છે. બજારમાં પહેલાથી જ સોનાનો સ્ટોક ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત ગ્રાહક જૂના દાગીના આપીને નવા દાગીના પણ બનાવડાવી રહ્યો છે. તેથી નવું સોનું વધુ મગાવ્યા વગર પણ બજારમાં ખરીદી ચાલુ રહી શકે છે.
અલબત્ત, આનો અર્થ એ પણ નથી કે મોંઘા સોનાની માંગ પર કોઈ અસર નથી પડી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે કે ઊંચી આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી)ને કારણે 2026માં ભારતમાં દાગીના અને સિક્કા-બિસ્કિટની સોનાની કુલ માંગ 50થી 60 ટન એટલે કે અંદાજે 10 ટકા સુધી ઘટી શકે છે.
સોનું મોંઘું થતાં દાગીનાનું વજન ઘટ્યું
મોંઘા સોનાની સીધી અસર ગ્રાહકની ખરીદી પર દેખાઈ રહી છે. લગ્નવાળા ઘરમાં દાગીનાનું લિસ્ટ કદાચ એ જ છે, પરંતુ વજન ઘટી રહ્યું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પરિવારે પહેલાં 10 ગ્રામના દાગીના ખરીદવાનું બજેટ બનાવ્યું હતું, તો હવે તેઓ 6-7 ગ્રામની હળવી ડિઝાઇન તરફ વળી રહ્યા છે. એટલે કે દાગીના ખરીદવાનું બંધ નથી થયું, પરંતુ દાગીનાનું વજન ઓછું થઈ ગયું છે.
જૂનું સોનું આપીને નવો દાગીનો બનાવવાનો ટ્રેન્ડ
મોંઘા સોનામાં બીજો રસ્તો જૂના દાગીનાનું એક્સચેન્જ કરવાનો છે. ઘરમાં રાખેલું જૂનું સોનું આપીને નવો દાગીનો બનાવવાથી ગ્રાહકને પૂરેપૂરી માત્રામાં નવું સોનું ખરીદવાની જરૂર પડતી નથી. આનાથી ગ્રાહકનો રોકડ ખર્ચ ઘટી શકે છે. જોકે, એક્સચેન્જ કરતી વખતે જૂના સોનાની શુદ્ધતા, મૂલ્યાંકન, કપાત અને નવા દાગીનાના ઘડામણ ચાર્જને ધ્યાનથી જોવા જરૂરી છે.
વજન ઘટ્યું, છતાં દુકાનદારોની કમાણી વધુ કેવી રીતે?
સોનાના બજારનું એક રસપ્રદ ગણિત છે. ક્રિસિલ (CRISIL)ના જણાવ્યા અનુસાર, સંગઠિત જ્વેલરી વેપારીઓનું વેચાણ વજનના હિસાબે 13થી 15 ટકા ઘટીને 620થી 640 ટન રહી શકે છે, પરંતુ ઊંચી કિંમતોના કારણે મોટા જ્વેલરી વેપારીઓની કમાણી 20થી 25 ટકા સુધી વધી શકે છે.
અર્થાત પહેલાં ગ્રાહક 10 ગ્રામ સોનું ખરીદતો હતો, હવે ભાવ વધુ હોવાથી 7 ગ્રામ ખરીદી રહ્યો છે. વજન ઘટ્યું, પરંતુ સોનાની કિંમત વધવાને કારણે 7 ગ્રામનું બિલ પણ ખાસું મોટું બની શકે છે. એટલે કે ત્રાજવા પર સોનું ઘટી રહ્યું છે, પરંતુ બિલની રકમ એ જ પ્રમાણમાં ઘટે તે જરૂરી નથી.
માત્ર ઓગસ્ટ જોઈને પૂરી સ્થિતિ ન સમજી શકાય
ઓગસ્ટમાં આયાત અંદાજે 58 ટકા ઘટી છે, પરંતુ એપ્રિલથી ઓગસ્ટ 2026 વચ્ચે ભારતે 17.47 અબજ ડૉલરનું સોનું આયાત કર્યું છે. આ આયાત ગત વર્ષના આ જ સમયગાળા કરતાં 3.38 ટકા વધુ છે.
વધેલી આયાત જકાતની અસર
સોનાની આયાત મે મહિનાથી મોંઘી થઈ છે. સરકારે 13 મે, 2026થી સોના અને ચાંદી પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. આનો ઉદ્દેશ્ય આયાત મોંઘી કરીને અનાવશ્યક માંગ ઘટાડવાનો અને વિદેશી મુદ્રા (ફોરેક્સ) પરનું દબાણ ઓછું કરવાનો હતો.
ભારત વિદેશમાંથી સોનું ખરીદવા માટે ડૉલર ખર્ચ કરે છે. તેથી સોનાની આયાત ઘટવાથી ડૉલર બહાર જવાનું દબાણ ઘટી શકે છે, પરંતુ વધુ ટેક્સનું એક બીજું જોખમ પણ રહેલું છે.
ટેક્સ વધ્યો તો દાણચોરીનું જોખમ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જૂના અનુભવોનો હવાલો આપતાં જણાવ્યું છે કે ભારતમાં જ્યારે પણ સોના પર આયાત જકાત વધી છે ત્યારે દાણચોરી મારફતે સોનું આવવાનું જોખમ પણ વધ્યું છે. તેથી સરકારી આંકડામાં આયાત ઓછી થવાનો અર્થ એવો બિલકુલ નથી કે બજારની કુલ માંગ પણ એટલી જ ઘટી ગઈ છે. માંગનો કેટલોક હિસ્સો ગેરકાયદે કે અનોપચારિક રસ્તાઓ પર જઈ શકે છે.
ચાંદી તરફ પણ વધ્યો ઝુકાવ
ઓગસ્ટમાં ભારતની ચાંદીની આયાત 127 ટકા વધીને 1.02 અબજ ડૉલર થઈ ગઈ છે. આ સંકેત આપે છે કે મોંઘા સોના વચ્ચે કેટલાક ખરીદદારો ચાંદી તરફ પણ વળી રહ્યા છે. જોકે, એપ્રિલથી ઓગસ્ટના પાંચ મહિનામાં ચાંદીની આયાત 8.81 ટકા ઘટી છે. તેથી ઓગસ્ટના આ વધારાને હાલમાં લાંબા ગાળાનો ટ્રેન્ડ માનવો યોગ્ય નહીં ગણાય.
આખરે ભારતીયોએ સોનું ખરીદવાનું છોડ્યું કે પદ્ધતિ બદલી?
હાલના આંકડા એ જ દર્શાવે છે કે ભારતીયોએ સોનું ખરીદવાનું સંપૂર્ણપણે છોડ્યું નથી. મોંઘા સોનાએ ખરીદીની પદ્ધતિ ચોક્કસપણે બદલી નાખી છે. ગ્રાહક વધુ વજનને બદલે હળવા દાગીના પસંદ કરી રહ્યો છે, જૂના સોનાનું એક્સચેન્જ કરી રહ્યો છે અને પોતાના બજેટ મુજબ ખરીદી કરી રહ્યો છે.


