
અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલી પરિવર્તન બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રેલીઓ અને આંદોલનની મોસમ પણ ખીલી ઊઠી છે. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન બાઈક રેલી, પરિવર્તન પદયાત્રા તથા પરિવર્તન સંવાદ યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શનિવારે અમદાવાદમાં પરિવર્તન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મહામંત્રી મનીષ ચૌધરી તથા પ્રભારી મહોમ્મદ શાહિદના નેતૃત્વમાં યુથ કોંગ્રસ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના પદાધિકારીઓ તથા યુવાનો જોડાયા હતા. પરિવર્તન બાઈક રેલી કોંગ્રેસ કાર્યાલય પાલડીથી નીકળી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના યુવાનો બેરોજગારી, મોંઘવારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓથી પરેશાન છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમકતાથી લડત ચલાવવા અને ગુજરાતમાં પરિવર્તન લાવવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “પરીવર્તન જ સંકલ્પ” અભિયાન યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન બાઈક રેલી , પરિવર્તન પદયાત્રા તથા પરિવર્તન સંવાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં બરોજગારી , મોંઘવારી મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ ઉજાગર કરીને લડત ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સૌથી વિકટ સમસ્યા છે. આ સમસ્યાને કોંગ્રેસ દ્વારા વાચા આપવામાં આવી રહી છે. ગુજરાતના સળગતા મુદ્દાઓને હાથમાં લઈને કોંગ્રેસે પ્રચાર અભિયાન આદર્યુ છે.