દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ બીલનો ખોડૂતોના વિરોધના લાંબા વિરોધ બાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર આવતીકાલે સોમવારે લોકસભામાં ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવા માટે નવું બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ કાયદાઓને શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
લોકસભાની વેબસાઈટ પર અપલોડ કરાયેલા શિયાળુ સત્રના કાર્યસૂચિમાં બિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્ડામાં લખવામાં આવ્યું છે કે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે એક બિલ રજૂ કરશે. જો કે, એગ્રીકલ્ચરલ લો રિટર્ન બિલ-2021ના નામથી રજૂ કરવામાં આવેલા આ બિલ અંગે સાંસદોને મોકલવામાં આવેલી વાંધા અને કારણોની નોંધની ભાષાને લઈને વિવાદ ઊભો થઈ શકે છે.
આ નોંધમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ કૃષિ કાયદાઓ સામે ‘ખેડૂતોનો માત્ર એક નાનકડો સમૂહ વિરોધ કરી રહ્યું છે’, વિકાસ માટે બધાને સાથે લઈને ચાલવું એ સમયની જરૂરિયાત છે. આ નોટ પર કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના હસ્તાક્ષર છે. આ નોંધમાં, ફરી એકવાર, કૃષિ કાયદાઓથી ખેડૂતોને સંભવિત લાભોની ગણતરી કરવામાં આવી છે. તે જ સમયે, ઘણી ચર્ચાઓ છતાં, સર્વસંમતિ સુધી ન પહોંચવાનો સમગ્ર દોષ ખેડૂત સંગઠનોના માથે નાખવામાં આવ્યો છે.
લોકસભાના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. જેથી આવતીકાલથી શરૂ થનારુ શિયાળુ સત્ર તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે તેના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે, જ્યારે ભાજપે પણ તેના સાંસદોને આ જ વ્હીપ જારી કર્યો છે. કોંગ્રેસને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોનું સમર્થન પણ મળી શકે છે, સાંસદોની સંખ્યાની દ્રષ્ટિએ લોકસભામાં ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.
વિરોધ પક્ષ આ સમયગાળા દરમિયાન કાયદો પાછો ખેંચવામાં વિલંબ અને ખેડૂતોના મોતનો મુદ્દો પણ ઉઠાવશે. તમને જણાવી દઈએ કે આંદોલન દરમિયાન લગભગ 700 ખેડૂતોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.