અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપે તો ક્યારનીય તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ ધીમીગતિએ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં જનમંચના નામે જિલ્લા-તાલુકામાં કાર્યક્રમો કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાની માગ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસની તાજેતરમાં અમદાવાદમાં પાર્ટી કાર્યાલય પર મળેલી બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા લઘુમતી સમુદાયના મોરચાઓની બેઠક બોલાવી હતી. આ દરમિયાન પાર્ટીએ આ મુદ્દાને લઈને બે મહત્ત્વના ઠરાવો પસાર કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓબીસીની વધુ વસતી હોવા છતાંયે વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળતું નથી, રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરી થકી એસ.ટી.,એસ.સી., ઓ.બી.સી. અને લઘુમતી સમાજની વસ્તી પ્રમાણે સરકાર અંદાજપત્રીય જોગવાઈ કરે અને તે અનુસાર જ રાજકીય પ્રતિનિધિત્વ મળે તે મુજબની કોંગ્રેસ દ્વારા માગ રજૂ કરાશે. આ માટે કોંગ્રેસ આગામી સમયમાં તાલુકા સ્તરથી માંડીને રાજ્ય કક્ષાએ આંદોલન પણ કરશે.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા બીજો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.એમાં પક્ષના માળખામાં 50 ટકા અનામતના અમલ કરાશે. થોડા સમય પહેલાં છત્તીસગઢના રાયપુરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં એસ.ટી., એસ.સી., ઓ.બી.સી., લઘુમતી સમુદાય તથા મહિલાઓને પક્ષના સંગઠનમાં 50 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો અમલ કરવો. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી શસ્ત્ર સજાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો મળી હતી જ્યારે લોકસભામાં કોંગ્રેસનો ગુજરાતમાંથી એક પણ સાંસદ નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં એઆઇસીસીના એસ.ટી.,એસ.સી., ઓ.બી.સી. અને માયનોરીટી સેલના રાષ્ટ્રીય સંયોજક કે.રાજુની હાજરીમાં એક બેઠક મળી હતી. કોંગ્રેસ માટે આ સમુદાયો કોર વોટ બેંક ગણાય છે, પરંતુ તેના માટે મળેલી બેઠકમાં શૈલેષ પરમાર, ઈમરાન ખેડાવાલા તથા જિગ્નેશ મેવાણી સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જ ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના અન્ય હોદ્દેદારો પણ ન આવતા ખુરશીઓ ખાલી રહી હતી.