અમદાવાદઃ કોરોનાના કેસ વધતા ફરીથી ધન્વંતરી હોસ્પિટલને શરૂ કરાશે
- હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા કરાઈ
- હોસ્પિટલને લઈને સરકાર પાસે મંજૂરી મંગાઈ
- દાખલ થતા દર્દીઓની સંખ્યા વધતા લેવાયો નિર્ણય
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની ત્રીજી લહેરની કેસમાં રોકેટગતિએ વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી મનપાએ બીજી વેવમાં ઉભી કરેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ફરીથી શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. બીજી લહેર બાદ હોસ્પિટલને બંધ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની સાથે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હોસ્પિટલમાં ICU અને વેન્ટિલેટર સાથેના બેડ તથા અન્ય બેડ પણ ફરીથી તૈયાર કરી દેવાયા છે. આ ઉપરાંત કેટલાક સ્ટાફને પણ મુકવામાં આવ્યો છે. હોસ્પિટલ શરૂ કરવા સરકાર પાસે સ્ટાફની માંગણી કરાઈ છે. સરકારના આદેશ બાદ હોસ્પિટલ શરૂ થશે. ધન્વંતરિ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા સ્ટેન્ડ બાય કરાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલના કેટલાક સ્ટાફની ડ્યુટી અહીં ફાળવી દેવાઈ છે. આ ઉપરાંત ડોક્ટરો ફાળવવા માટે પણ સરકારને રજુઆત કરવામાં આવી છે અને રીસેપ્શન ટેબલથી લઇ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. DRDO અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન સેન્ટરમાં ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ હતી.