
અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સાબરમતીથી વટવા સુધી 350 બાધકામો દુર કરાશે
અમદાવાદઃ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેનના કામમાં ઝડપ વધારવાની સુચના અપાયા બાદ અમદાવાદથી મુંબઈ સુધી 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ છે. બુલેટ ટ્રેનના અમદાવાદ સહિત સંપૂર્ણ રૂટ પર ટ્રેકની બન્ને બાજુએ આવતા અડચણરૂપ બાંધકામોને દૂર કરવા માટે સર્વે હાથ ધરાયો હતો. સાબરમતીથી વટવા સુધી રૂટની બન્ને બાજુના 350 બાંધકામ દૂર કરાશે. જ્યારે વડોદરા સુધીના રૂટ પર લગભગ 1550 નાના મોટા બાંધકામ, ધાર્મિક સ્થળ કે અન્ય બાંધકામો દૂર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. બુલેટ ટ્રેનના આ રૂટમાં દૂર કરવામાં આવનારા આ બાંધકામોમાં સાબરમતીથી વટવા સુધી 15 મળી વડોદરા સુધીના રૂટ પર 40 ધાર્મિક સ્થળો અડચણરૂપ હોવાથી દૂર કરાશે. બાંધકામો દૂર કરવા માટે એનએચએસઆરસીએલે બાંધકામ માલિકને સરકારી નિયમ મુજબ પૂરેપૂરું વળતર ચૂકવાશે અથવા માલિક કે ટ્રસ્ટની સ્વીકૃતિ બાદ તેનું અન્યત્ર પુન:સ્થાપન કરી અપાશે. જમીન સંપાદનની કામગીરી 80 ટકાથી વધુ પૂર્ણ થતા રૂટ પર હવે સિવિલ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ ઉપરાંત વડોદરા સુધીના રૂટ પર 1550થી વધુ બાંધકામો અડચણરૂપ હોવાથી તેને દૂર કરાશે. જ્યારે વડોદરાથી વાપી સુધીના રૂટ પર પણ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે અને આ રૂટ પર કુલ એક હજારથી વધુ અડચણરૂપ બાંધકામો દૂર કરવામાં આવે તેવી શક્યતા છે.