1. Home
  2. ગુજરાતી
  3. આઝાદીના અમૃત મહોત્સવઃ વર્ષ 1961માં ગોવા, 1962માં પુડુંચેરી અને 1975માં સિક્કિમ ભારતનો હિસ્સો બન્યાં
આઝાદીના અમૃત મહોત્સવઃ વર્ષ 1961માં ગોવા, 1962માં પુડુંચેરી અને 1975માં સિક્કિમ ભારતનો હિસ્સો બન્યાં

આઝાદીના અમૃત મહોત્સવઃ વર્ષ 1961માં ગોવા, 1962માં પુડુંચેરી અને 1975માં સિક્કિમ ભારતનો હિસ્સો બન્યાં

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તા. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવશે. આ માટે હાલ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા તૈયારો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હર ઘર તિરંગા મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. વર્ષ 1961માં ગોવા, 1962માં પુડુચેરી અને 1975માં સિક્કિમ ભારતમાં જોડાયું હતું.

ભારતને 15મી ઓગસ્ટ 1947માં અંગ્રેજોથી આઝાદી મળી હતી. જો કે અંગ્રેજોએ દેશના બે ટુકડા કર્યા હતા. જેના કારણે પાકિસ્તાન નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. આઝાદી બાદ છેલ્લા 75 વર્ષોમાં તે ઘણું બદલાઈ ગયું છે. દેશની અંદર રાજ્યોની સીમાઓ બદલવાની પ્રક્રિયા આઝાદી પછી પણ ચાલુ રહી છે. 19 ડિસેમ્બર, 1961ના રોજ, ગોવાને ભારતીય સેના દ્વારા આઝાદ કરવામાં આવ્યું અને તે ભારતનો એક ભાગ બન્યું હતું. 1962માં પુડુચેરી (અગાઉ પોંડિચેરી) સત્તાવાર રીતે ભારતમાં જોડાયું હતું. 1975માં સિક્કિમ ભારતમાં જોડાયું હતું. 1947ની સંધિ મુજબ સિક્કિમની સ્વતંત્રતા યથાવત રાખવામાં આવી હતી. તેને 16 મેના રોજ ભારતના 22માં રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આઝાદી પછી દેશમાં અનેક રજવાડાં હતાં. જેમાંથી કેટલાક પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા અને કેટલાક સ્વાયત્ત શાસન ઈચ્છતા હતા. જે ભૌગોલિક રીતે શક્ય ન હતું. સરકારના સતત પ્રયાસોને કારણે કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ, મણિપુર અને ત્રિપુરા જેવા રજવાડાઓને 1947-1949 વચ્ચે ભારતમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. તે ઔપચારિક રીતે પ્રજાસત્તાકમાં રૂપાંતરિત થયું. આ સમય સુધી ભારતને પ્રાદેશિક સીમાઓમાં દર્શાવવામાં આવ્યું હતું.

1953માં આંધ્ર રાજ્યે તેલુગુ ભાષીઓ માટે અલગ રાજ્યની માંગણી કરી. જે બાદ રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરવામાં આવી હતી. 1956 સુધી દેશમાં 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. ત્યારબાદ દેશમાં ભાષાના આધારે અલગ રાજ્યોની માંગ ઉઠવા લાગી હતી અને પહેલો અવાજ મદ્રાસમાં ઊઠ્યો હતો. પુનર્ગઠન પંચની ભલામણ હતી કે રાજ્યોની રચના ભાષાના આધારે ન થવી જોઈએ. જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ અને મહાગુજરાત ચળવળમાં તેજી આવી ત્યારે 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન થયું હતું. જે બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યા હતા.

આવી જ રીતે અકાલી દળે પંજાબી સુબા આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે પંજાબી ભાષીઓ માટે પંજાબ બનાવવામાં આવ્યું હતું. તેમજ હરિયાણાની સ્થાપના થઈ હતી. હિમાચલ પ્રદેશ પહેલા પંજાબ રાજ્યમાં સામેલ હતું. જેને બાદમાં અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન દેશના પૂર્વોત્તર ભાગમાં વિદ્રોહીની ઘટનાઓ વધવા લાગી. જે બાદ કેન્દ્ર સરકારે કેટલાક કડક નિર્ણયો લેવા પડ્યા હતા. અગાઉ મણિપુર અને મેઘાલયને અલગ રાજ્યો તરીકે માન્યતા આપવામાં આવી હતી.

1972માં મેઘાલય અને મિઝોરમ આસામથી અલગ થયા હતા. જ્યારે 1963માં નાગાલેન્ડને રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી. 1975માં સિક્કિમનું સ્વાયત્ત શાસન સમાપ્ત થયું અને તે પણ ભારતમાં વિલીન થયું હતું. 1987માં અરુણાચલ પ્રદેશ અને મણિપુરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અગાઉ આ કેન્દ્રશાસિત પ્રદેશો હતા. આવી જ રીતે 1987માં દમણ અને દીવને ગોવામાંથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. 2000 ના દાયકાની શરૂઆતમાં, ઉત્તરાખંડને ઉત્તર પ્રદેશમાંથી, ઝારખંડને બિહારમાંથી અને છત્તીસગઢને મધ્ય પ્રદેશમાંથી અલગ કરીને રાજ્ય બનાવવામાં આવ્યાં હતા. 2014માં લાંબા આંદોલન પછી આંધ્ર પ્રદેશથી અલગ રાજ્ય તરીકે તેલંગાણાનો જન્મ થયો હતો. 2019માં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનું વિભાજન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરીને બે-અલગ રાજ્યોની જાહેરાત કરી હતી.

આઝાદીના 75 વર્ષ થવા છતાં અલગ રાજ્યની માંગ હજુ પણ વધી રહી છે. લદ્દાખમાં કારગીલને અલગ કરવાની માંગ ઉઠી છે, સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રને ગુજરાતમાંથી અલગ કરવાની માંગણી પણ થઈ રહી છે. વિદર્ભ અને મરાઠવાડા મહારાષ્ટ્રમાં અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ગોરખાલેન્ડને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code