અનંતનાગઃ કુખ્યાત આતંકવાદી ઉઝૈર ખાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર માર્યો છે. કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે, આતંકવાદી ઉઝૈર અનંતનાગમાં માર્યો ગયો છે. સુરક્ષા એજન્સીઓએ એક આતંકવાદીના મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. હજુ આતંકવાદીઓને લઈને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં ચાર જવાનો પણ શહીદ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અનંતનાગમાં આતંકવાદીઓ સાથેનું સુરક્ષાદળોનું એન્કાઉન્ટર પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં હવે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આતંકવાદીઓ સાથે જોડાયેલી વસ્તુઓ અહીં હાજર હોઈ શકે છે. આ ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ચાર જવાન શહીદ થયા છે. સેના ત્રીજા આતંકીના મૃતદેહને પણ શોધી રહી છે. હાલમાં સેનાએ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સેનાના જવાનો જંગલોમાં આતંકવાદીઓને શોધી રહી છે.
ADGP વિજય કુમારે મંગળવારે અનંતનાગ ઓપરેશનને લઈને કહ્યું હતું કે, ‘સર્ચ ઓપરેશન ચાલુ રહેશે કારણ કે ઘણા વિસ્તારો બાકી છે. તે વિસ્તારોમાં લોકોને નહીં જવા માટે અપીલ કરાઈ છે. અમને બેથી ત્રણ આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. તેમણે આગળ કહ્યું, ‘એવી શક્યતા છે કે અમને ત્રીજી લાશ પણ ક્યાંક મળી શકે. આ કારણોસર અમે સર્ચ ઓપરેશન ચાલુ રાખવાના છીએ.
સુત્રોના જણાવ્યા અનુસાર અનંતનાગમાં આતંકવાદીઓને ઠાર મારવા માટે સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ વિશેષ અભિયાન શરૂ કર્યું છે.