BSF અને પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતમાં શાંતિ-સુરક્ષાનો અહેસાસ: હર્ષ સંઘવી
અમદાવાદઃ બીએસએફ, ગુજરાત પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતીઓ આજે શાંતિ-સુરક્ષાનો અહેસાસ કરી રહ્યાં છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’માં ભાગ લેનાર 75 સાયકલવીરોને હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કહ્યું કે, ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા બીએસએફ, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી, એસએસબી અને આસામ રાઈફલ્સના જવાનોની હાજરીથી મિનિ ભારતના દર્શન થયા છે. ગુજરાતને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય સીમા-સરહદી સુરક્ષામાં બીએસએફ અને ગુજરાત પોલીસનું પ્રદાન ખૂબ મહત્વનું છે.
આઝાદીના અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા અંતર્ગત બીએસએફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મણિપુરની રાજધાની ઇમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’નું આજે બીએસએફ કેમ્પસ, ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાયકલ પ્રસ્થાન કાર્યક્રમમાં જવાનો દ્વારા આસામનું પારંપારિક નૃત્ય બિહુ, પંજાબનું ભાંગડા નૃત્ય, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
બીએસએફ ગુજરાતના આઈજી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અને ફિટ ઈન્ડિયાના ઉપલક્ષમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સ દ્વારા ભારતભરમાં વિવિધ સાયકલરેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે બીએસએફના નેતૃત્વમાં વિવિધ 7 દળોના 75 સાયકલવીરો દ્વારા ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિ.મી.ની સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 3 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી-2022 દરમિયાન 49 દિવસ આ સાયકલ રેલી યોજાશે. આ પ્રસંગ્રે રાજ્યના પોલીસ વડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.