ગુજરાતઃ માછીમારોને મોટી રાહત, યાંત્રિક બોટને મળશે ડીઝલ પર વેટમાં છૂટછાટ
ગાંધીનગર, 8 જુલાઈ 2026: રાજ્યના માછીમારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમના વ્યવસાયને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વેટ રાહત યોજનામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યની 18000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટના સંચાલકોને સીધો આર્થિક લાભ મળશે.
અગાઉની નીતિ મુજબ, આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી બોટોને જ મળતો હતો. સરકારના આ નિર્ણયથી હવે લંબાઈની આ મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ પ્રકારની યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાના કાર્યક્ષેત્રમાં આવશે, જેનાથી માછીમારોનો ડીઝલ પાછળનો ખર્ચ ઘટશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ લાભ મેળવવા માટે બે બાબતો અનિવાર્ય છે. જેમકે ફિશિંગ બોટની નોંધણી ‘રિયલ ક્રાફ્ટ પોર્ટલ’ પર હોવી જોઈએ. તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું આવશ્યક છે.
આર્થિક ફાયદો અને અમલીકરણ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દરેક બોટને સરકાર દ્વારા ‘ડીઝલ કાર્ડ’ ઇશ્યૂ કરવામાં આવશે. આ કાર્ડના માધ્યમથી બોટ માલિકોને ડીઝલ પર પ્રતિ લિટર મહત્તમ રૂ. 15 સુધીની વેટ રાહત મળશે. સરકારના આ આર્થિક પ્રોત્સાહનથી માછીમારોની દૈનિક આવકમાં વૃદ્ધિ થશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. મંત્રીએ જે માછીમારોની નોંધણી બાકી હોય તેમને સત્વરે ‘રિયલ ક્રાફ્ટ પોર્ટલ’ પર નોંધણી કરાવી લેવા અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે, જેથી તેઓ આ નવી યોજનાનો મહત્તમ લાભ લઈ શકે.


