ગોલ્ડ રિઝર્વ પર ગેરમાર્ગે દોરતો રિપોર્ટ, આરબીઆઈના જવાબ પછી બ્લૂમબર્ગ બેકફૂટ પર
હેમંત પરમાર દ્વારા
ભારતના 880.52 ટન ગોલ્ડ રિઝર્વમાં કોઈ ઘટાડો નહીં, ખોટી ગણતરીના કારણે બ્લૂમબર્ગને માફી માંગવી પડી. જ્યારે અહેવાલ ખોટો સાબિત થયો, ત્યારે તેને વધારીને રજૂ કરનારાઓ ક્યાં ગાયબ થઈ ગયા?
વિશ્વની પ્રતિષ્ઠિત આર્થિક સમાચાર સંસ્થા ગણાતી બ્લૂમબર્ગને આખરે ભારત અંગે પ્રસિદ્ધ કરાયેલા પોતાના અહેવાલ માટે માફી માંગવી પડી છે. ભારતના ગોલ્ડ રિઝર્વ વિશે કરવામાં આવેલો મોટો દાવો થોડા જ દિવસોમાં ખોટો સાબિત થતાં બ્લૂમબર્ગે લેખ પાછો ખેંચી લીધો અને પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી.
સમગ્ર વિવાદની શરૂઆત ૨ જૂનના રોજ થઈ હતી. બ્લૂમબર્ગે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ભારતીય રિઝર્વ બેંકએ વિદેશી હૂંડિયામણના ભંડોળને મજબૂત બનાવવા માટે પોતાના સોનાના ભંડારમાંથી અંદાજે ૧૨ અબજ ડોલરનું સોનું વેચી દીધું છે. આ દાવો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો હતો.
આ પણ વાંચોઃ ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો ફૂટ્યો, જાણો તેના ગામના લોકોએ શું કહ્યું?
કેટલાક રાજકીય નેતાઓ, યુટ્યુબ વિશ્લેષકો અને સરકારના ટીકાકારોએ આ અહેવાલને આધારે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. જાણે ભારતની આર્થિક સ્થિતિ કોઈ મોટા સંકટમાંથી પસાર થઈ રહી હોય તેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ થયો.
પરંતુ થોડા જ સમયમાં આરબીઆઈએ સત્તાવાર રીતે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી. આરબીઆઈએ જણાવ્યું કે દેશના ગોલ્ડ રિઝર્વ અંગેની તમામ માહિતી દર મહિને પ્રકાશિત થતા મંથલી બુલેટિનમાં ઉપલબ્ધ હોય છે. મે મહિનાના અંત સુધી ભારત પાસે કુલ ૮૮૦.૫૨ ટન સોનાનો ભંડાર સુરક્ષિત રીતે ઉપલબ્ધ હતો અને તેમાં એક ગ્રામનો પણ ઘટાડો નોંધાયો નહોતો.
આરબીઆઈના આ સ્પષ્ટ અને દસ્તાવેજી જવાબ બાદ બ્લૂમબર્ગના અહેવાલ પર સવાલો ઊભા થયા. ત્યારબાદ બ્લૂમબર્ગે સ્વીકાર્યું કે તેમના વિશ્લેષણ દરમિયાન સોનાના ભાવોની ગણતરીમાં ભૂલ થઈ હતી. અર્થશાસ્ત્રીઓએ ખોટા ભાવોના આધારે તારણ કાઢ્યું હતું. જ્યારે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનના પ્રમાણભૂત ભાવો સાથે ફરી ગણતરી કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ભારતના ગોલ્ડ રિઝર્વમાં કોઈ ઘટાડો થયો જ નહોતો.
આખરે બ્લૂમબર્ગે પોતાનો લેખ પાછો ખેંચીને ભૂલ માટે માફી માંગી
આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે. કારણ કે મૂળ અહેવાલ સામે આવતા જ અનેક લોકોએ તેને ઝડપથી શેર કર્યો હતો અને સરકાર સામે આક્ષેપોની ઝડી વરસાવી હતી. સોશિયલ મીડિયા પરની ચર્ચા મુજબ રવિશ કુમાર, રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત, અરવિંદ કેજરીવાલ, અભિસાર શર્મા, અજીત અંજુમ, ધ્રુવ રાઠી, મોહમ્મદ ઝુબેર, સંજય શર્મા અને અન્ય ઘણા લોકોએ આ મુદ્દે પ્રતિક્રિયાઓ આપી હતી.
પરંતુ અહેવાલ ખોટો સાબિત થયા પછી એક રસપ્રદ સવાલ ઊભો થયો છે. શું આ જ લોકોએ બ્લૂમબર્ગની માફી અને સુધારેલી માહિતી વિશે પણ એટલી જ ઝડપથી પોસ્ટ કરી? સોશિયલ મીડિયા પર તો મજાકમાં કહેવામાં આવી રહ્યું છે કે આવા ટ્વીટ શોધવા જશો તો > 404 Error : No tweets found જ લખેલું મળશે.
આ ઘટના માત્ર એક મીડિયા ભૂલ નથી. તે યાદ અપાવે છે કે કોઈપણ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનો અહેવાલ અંતિમ સત્ય માનવો યોગ્ય નથી. ખાસ કરીને દેશની અર્થવ્યવસ્થા, વિદેશી હૂંડિયામણ અને ગોલ્ડ રિઝર્વ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સત્તાવાર આંકડાઓની ચકાસણી કર્યા વગર નિષ્કર્ષે પહોંચવું જોખમી બની શકે છે.
આખરે સૌથી મોટો સવાલ એ છે કે ખોટા અહેવાલના આધારે દેશની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરનારા લોકો હવે સત્ય સામે આવ્યા પછી પોતાની ભૂલ સ્વીકારશે? કે પછી માફી માત્ર બ્લૂમબર્ગ પૂરતી જ સીમિત રહેશે?
હાલ માટે તો હકીકત એટલી જ છે કે ભારતનું ગોલ્ડ રિઝર્વ સંપૂર્ણ સુરક્ષિત છે, આરબીઆઈના આંકડા અડગ છે અને સોનું વેચાઈ ગયાની ચર્ચા માત્ર ખોટી ગણતરીનું પરિણામ સાબિત થઈ છે.


