રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા મળશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઈને કરી મોટી જાહેરાત
- કેન્દ્ર સરકારના નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશી ફેલાઈ
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામારતૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 22મી જાન્યુઆરીએ આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે. દરમિયાન સ્કુલો અને વિવિધ સંગઠનો દ્વારા તા. 22મી જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરી છે. તા. 22મી જાન્યુઆરીના દિવસે સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેકના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસનો બ્રેક આપવામાં આવશે. આ વિરામ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી ચાલશે. આ નિર્ણય ભારે જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મોદી સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે.
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતમાં સ્કુલોમાં વિદ્યાર્થીઓને રજા આપવા માટે સ્કુલ સંચાલકો અને શિક્ષકો દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. દરમિયાન સમગ્ર દેશમાં વિવિધ સંગઠનોના કર્મચારીઓ દ્વારા પણ સમગ્ર પર્વને નિહાળવા માટે રજાની માંગણી કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશની જનતા નિહાળી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ઉપરાંત આ વિશેષ દિવસે વિવિધ ધાર્મિક સ્થળો ઉપર ધાર્મિક કાર્યક્રમો યોજાશે.