Homeગુજરાતીગુજરાતવડોદરાના ચાંદોદમાં નર્મદાના કિનારે ગંગા દશહરાના દિવસે મુખ્યમંત્રી પટેલ આરતી ઉતારશે

વડોદરાના ચાંદોદમાં નર્મદાના કિનારે ગંગા દશહરાના દિવસે મુખ્યમંત્રી પટેલ આરતી ઉતારશે

વડોદરાઃ જિલ્લાના ચાંદોદ નર્મદાના કિનારે આવેલું પિતૃ તર્પણ માટેનું ધામ છે. અહી અનેક મંદિરો પણ આવેલી છે. અને રોજબરોજ ઘણાબધા યાત્રાળુંઓ પણ આવે છે. ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી નર્મદા નદીમાં ગંગા દશહરાની ઊજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ ગંગા દશહરાના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને આરતી કરશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પાવન અવસરમાં જોડાતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે ગંગા દશહરા મહોત્સવમાં તા. 26 મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગંગા દશાહરા મહોત્સવમાં જોડાશે અને મલ્હાર રાવ ઘાટ ખાતે ગંગાજી-નર્મદાજી માતાની આરતી કરશે. સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઊજવાય છે. મહોત્સવની દસ દિવસ સુધી ઊજવણી કરવામાં આવે છે અને દસ દિવસની ઊજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લઇ રહ્યા છે.

આગામી 26મીના રોજ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ ગંગા દશહરા પર્વની ઉજવણીમાં હાજર રહી સાંજે મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજી-નર્મદાજીની મહા આરતી કરશે.તેથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારથીજ ચાંદોદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓની આવન-જાવન શરૂ થઇ ગઇ હતી. તે સાથે સ્થાનિક ભાજપા અગ્રણીઓની પણ આવન-જાવન શરૂ થઇ ગઇ હતી.

સંબંધિત લેખો

Most Popular