- રફાલને કારણે ચીન-પાકિસ્તાન પર ભારે પડશે ભારત
- એરસ્ટ્રાઈકની જરૂરત પડવા પર વાયુસેના વધારે તૈયાર
- નવા એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાની મહત્વની ટીપ્પણી
- રફાલ યુદ્ધવિમાનની ખરીદી પ્રક્રિયાની ટીમના ચેરમેન રહી ચુકયા છે
એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ સોમવારે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. એર ચીફ માર્શલ બનતા જ તેમણે પાકિસ્તાન અને ચીનને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યુ છે કે રફાલને કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર ભારે પડશે.
એર ચીફ માર્શલ ભદૌરિયાના નવા વાયુસેનાધ્યક્ષ બન્યાના એક સપ્તાહમાં ભારતીય વાયુસેનાના બેડામાં દુનિયાના શ્રેષ્ઠ યુદ્ધવિમાન પણ સામેલ થવા જઈ રહ્યા છે. એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા પહેલા રફાલ યુદ્ધવિમાન ખરીદ ટીમના ચેરમેન પણ રહ્યા છે. તે અત્યાર સુધીમાં 26 પ્રકારના યુદ્ધવિમાનો અને પરિવહન વિમાનોનું ઉડ્ડયન કરી ચુક્યા છે.
આવા મોકા પર આ સોદામાં મહત્વની ભૂમિકા નિભાવનારા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ સોમવારે વાયુસેનાધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. પદભાર ગ્રહણ કરવા દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મામલે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો પણ આપ્યો છે.
નવા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ કહ્યુ છે કે રફાલનું સામેલ થવું દેશ અને વાયુસેના માટે મહત્વપૂર્ણ છે. રફાલની તકનીક આપણા માટે ગેમ ચેન્જર હશે.
એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યુ છે કે પ્રવર્તમાન સ્થિતિના પડકારોનો સામનો કરવા માટે વાયુસેના સંપૂર્ણપણે તૈયાર છે. અમને જાણકારી આપવામાં આવી છે કે સરહદ પર પાકિસ્તાન તરફથી શું ચાલી રહ્યું છે. તેની અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમે પહેલા પણ તૈયાર હતા અને હવે બાલાકોટ જેવી એરસ્ટ્રાઈકની જરૂરત પડવા પર વાયુસેના વધારે તૈયાર છે.
પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાની ધમકી પર વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યુ છે કે અમારી પોતાની સમજ છે. અમારે જે કરવાનું છે, અમે કરીશું.
નવા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ કહ્યુ છે કે અમે તમામ ખતરાનું વિશ્લેષણ કરીએ છીએ. અમે તમામ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છીએ. હાલની પરિસ્થિતિમાં જમીની ખતરો બનેલો છે. પરંતુ અમે દરેક ખતરાનો સામનો કરવા માટે તૈયાર છીએ.