કોરોનાવાયરસ: ગુજરાતમાં કોરોનાવેક્સિન માટે 1000 કેન્દ્રો ઊભા કરાશે
અમદાવાદઃ ભારતમાં કોરોનાની રસીની અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વેક્સિન માટે 1000 કેન્દ્રો ઊભા કરાશે. આ કેન્દ્રો ઉપર રોજના સરેરાશ 100 વ્યક્તિઓને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વેક્સિન આપવા માટે પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત સ્કુલની અલગથી પંસદગી કરી છે. કોરોનાની વેક્સિન રાખવા માટે 43 સ્થળોએ ખાસ વ્યવસ્થા કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસની રસી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ પત્રકારો, હોમગાર્ડ, શિક્ષકો સહીત 15 હજાર લોકોને કોરોનાની વેક્સિન અપાશે.
વેક્સિન આપવાના ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરની વયના કુલ 3.26 લાખ લોકોને વેક્સિન અપાશે. જ્યારે ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેની વયના, પરંતુ વિવિધ બીમારીથી પીડાતા લોકોને વેક્સિન આપવામાં અગ્રતા આપવામાં આવશે. રાજ્યમાં એક હજાર કેન્દ્રો ઉપર દરરોજ સરેરાશ 100 જેટલા વ્યક્તિઓને રસી આપવામાં આવશે. કોરોનાની વેક્સિન આપવા માટેના કેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ ઓરડા હશે.