1. Home
  2. ગુજરાતી
  3. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ
ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્તીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરવાની માગ ઊઠી છે. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સંચાલક મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. જેમાં વર્ષ દરમિયાન લેવામાં આવેલી એકમ કસોટી, એસાઈન્ટમેન્ટ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે પરિણામ તૈયાર કરવામાં આવે અને તેમાં જો કોઈ વિદ્યાર્થીનો દેખાવ સારો ન હોય તો તેને નાપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. શાળા પાસે વિદ્યાર્થીઓની પરીક્ષા અને વર્ષ દરમિયાનની કામગીરીનો રેકોર્ડ ઉપલબ્ધ છે તેના આધારે પાસ-નાપાસ જાહેર કરવામાં આવે તેમ જણાવાયુ હતું. જ્યારે ધો.12 સાયન્સની પરીક્ષા થોડો સમય રાહ જોયા બાદ લેવા માટે જણાવાયું છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યપ્રધાનને પરીક્ષા અંગે પત્ર લખી ભલામણ કરી છે. જેમાં જણાવાયું છે કે, ધો.12 સાયન્સમાં બોર્ડની પરીક્ષા થોડો સમય રાહ જોયા બાદ ઓનલાઈન કે ઓફલાઈન યોજવી આવશ્યક છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં વિનિયન, વાણીજય, ઉત્તર બુનિયાદી અને વ્યવસાય લક્ષી પ્રવાહના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓ છે. ધો.11માં માસ પ્રમોશન મેળવીને તેઓ આ વખતે ધો.12માં રેગ્યુલર પરીક્ષાર્થી તરીકે ઉપસ્થિત રહ્યા છે. સામાન્ય પ્રવાહના 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું છે. બોર્ડના નિર્ધારીત ટાઈમ ટેબલ મુજબ એકમ કસોટી, અન્ય પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ગુણ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા છે. વર્ષ દરમિયાન થયેલા એસેસમેન્ટનો સંપૂર્ણ રેકોર્ડ પણ દરેક શાળા પાસે ઉપલબ્ધ છે. વર્તમાન કોવિડ પરિસ્થિતિમાં તમામ જાહેર પરીક્ષાઓનું સ્વરૂપ બદલવાનો સમય પાકી ગયો છે. બ્રિટીશ શાસનથી ચાલી આવતી પરીક્ષા પદ્ધતિ બદલવી જરૂરી હોવાનું સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું.

આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓના ચાતુર્યની ચકાસણી વર્ષના અંતે 3 કલાકના 80 કે 100 ગુણના પ્રશ્નપત્રના બદલે અન્ય પદ્ધતિ અપનાવવી પડશે. જેના માટે ચાર ઓપ્શન પણ રજૂ કરાયા હતા. જેમાં વર્ગખંડમાં પ્રત્યક્ષ બેસીને નિયત સમયમાં ઉત્તર લખવાની વર્તમાન પદ્ધતિ, ઓનલાઈન ઘરે કે અન્ય સ્થળે બેસીને ઉત્તર લખવાની નવી પદ્ધતિ, વર્ષ દરમિયન બોર્ડ દ્વારા નિયત કરેલા અભ્યાસક્રમ મુજબની એકમ કસોટીઓ અને અન્ય પરીક્ષા, પ્રોજેક્ટ, સ્વાધ્યાયમાં મેળવેલા ગુણની 100 ગુણ સંદર્ભે સરેરાશ ગુણ ગણતરી અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ અપનાવેલી મેરીટ બેઈઝડ પ્રોગેશન પદ્ધતિનો ઉલ્લેખ કરાયો છે.

સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની અમારી રજૂઆત નથી કે વિચાર પણ નથી. તેના બદલે હાલની પરીક્ષા પદ્ધતિના બદલે અન્ય પરીક્ષા પદ્ધતિ અંગે વિચારણા થાય તેમ જણાવાયું હતું. જેમાં શાળા દ્વારા ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણ કાર્ય કર્યા બાદ લેવામાં આવેલી એકમ કસોટી તથા છેલ્લી પરીક્ષામાં મેળવેલા ગુણનું 40 ટકા વેઈટેજ, 40 ગુણ એસાઈન્મેન્ટ અને 20 ટકા ગુણ વિદ્યાર્થીની વર્ષ દરમિયાનની સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, વર્તણૂક, પ્રોજેક્ટ વર્કને ધ્યાને લઈને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code