નવી દિલ્હીઃ છત્તીસગઢની એક કોર્ટમાં ભગવાન હાજર થયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સત્તાધીશોએ ભગવાન શંકરને આરોપી બનાવીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી. આ પછી, કોર્ટમાં હાજર ન થવાની સ્થિતિમાં, 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું હતું. ભગવાનને કોર્ટમાં હાજર કરવા શક્ય નહીં હોવાથી ભક્તો આખુ શિવલિંગ ઉઠાવીને કોર્ટમાં લઈ ગયા હતા. જેથી કોર્ટમાં હાજર વકીલો અને અન્ય કેસમાં હાજર રહેલા સાક્ષીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મંદિરમાંથી ભક્તો શિવલીંગને ઉખાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કેસની હકીકત અનુસાર રાયગઢમાં ગેરકાયદે કબજો અને બાંધકામને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ જ કેસમાં, રાયગઢ તહસીલ કોર્ટે 23 થી 24 ફેબ્રુઆરી અને 2 માર્ચ સુધી સીમાંકન ટીમની રચના કરી અને તેને કૌહાકુંડા ગામમાં તપાસ કરાવી. તેમાં અનેક લોકોએ ગેરકાયદેસર કબજો મેળવ્યો હતો. આ પછી કોર્ટે 10 લોકોને નોટિસ ફટકારી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તે નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર નહીં થાય તો તેને 10 હજાર રૂપિયાના દંડ સાથે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના બાંધકામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
કોર્ટ દ્વારા જે 10 લોકોને નોટિસ આપવામાં આવી છે તેમાં કોહાકુંડાના વોર્ડ 25માં બનેલ શિવ મંદિરનો સમાવેશ થાય છે. કોઈપણ પૂજારીનું નામ ન હોવાના કારણે સીધી શિવ મંદિરને જ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ નોટિસમાં પ્રતિવાદી હાજર ન થવા પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ મંદિરમાંથી શિવલિંગને ઉખાડીને ટ્રોલી પર રાખી કોર્ટમાં પહોંચ્યા હતા.
શિવલિંગને લઈને લોકો કોર્ટમાં પહોંચ્યા, પરંતુ બહાર સૂચના મળી કે પ્રિસાઈડિંગ ઓફિસર કોઈ અન્ય રેવન્યુ કામમાં વ્યસ્ત છે, જેના કારણે કેસની આગામી સુનાવણી માટે 13 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી. બીજી તરફ મંદિરમાંથી ઉખડી ગયેલા શિવલિંગને લાવીને કોર્ટમાં રજૂ કરવાના પ્રશ્ન પર કોંગ્રેસના કાઉન્સિલર સપના સિદરે કહ્યું કે તે પહેલાથી જ ખંડિત છે. તેને મંદિરમાંથી હટાવીને નવું સ્થાપિત કરવામાં આવશે.