યુક્રેન-રશિયાના કારણે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થતા ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં
રાજકોટઃ ધોરાજીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા પ્લાસ્ટિક ઉદ્યોગ -રો મટિરીયલ્સમાં ભાવ વધતા ઉદ્યોગકારોને માઠી અસર થઈ છે. યુક્રેન અને રશિયાનુ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસરમાં પ્લાસ્ટિકના રો – મટિરીયલમા ભાવ વધારો થતા પ્લાસ્ટિક કારખાનેદારોની ચિંતામા વધારો થયો છે. એક બાજુ કોરોના કાળમા ધંધા, વેપારમાં હાલાકી થઈ ત્યાર બાદ હાલ ધોરાજી વેસ્ટમાંથી બેસ્ટ કરતા ધોરાજી પ્લાસ્ટિકના કારખાનાઓમાં યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર જોવા મળી છે. રો મટિરીયલસમાં 15 ટકાનો વધારો થતા પ્લાસ્ટિકના કારખાનાઓ મુસીબતમા મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગભગ 450 જેટલા પ્લાસ્ટિક ઉદ્યોગો આવેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારીથી પ્લાસ્ટીક ઉદ્યોગને પણ સારી અસર થઈ હતી અને માંડ કોરોનાથી પ્લાસ્ટિક ઉદ્યોગ બહાર આવ્યો ત્યા યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ થઈ ગયું. તેમાં પ્લાસ્ટિકમાં આવતા રો મટિરીયલના ભાવમાં 10-15 ટકા જેટલો વધારો થયો છે. જેથી પ્લાસ્ટિક ઉદ્યોગને ફરી મોટો ધક્કો લાગ્યો છે. ધોરાજી વિસ્તારમાં 450 કારખાનામાંથી 70 ટકા જેટલા કારખાના બંધ હાલતમા છે. જેને લીધે પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની હાલત ખરાબ છે. જો આ યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે રો મટિરીયલમા વધારો થતાં વ્યવહારોમાં ઘણી તકલીફ પડી છે. જો યુદ્ધ બંધ થાય તો જ પ્લાસ્ટિક ઉદ્યોગ બેઠો થઈ શકે તેમ છે.
ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ એસોના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો ઉદ્યોગ છે. કોરોના કાળથી ઘણા પ્લાસ્ટિકના કારખાનાઓ બંધ થયા છે. જ્યાં પ્લાસ્ટિકના કારખાનાઓ ઊભા થવાની તૈયારીમાં હતા, ત્યાં યુક્રેન અને રશિયાનુ યુદ્ધ શરૂ થઈ ગયું, જેથી આ યુદ્ધને કારણે પ્લાસ્ટિકના રો – મટિરિયલ્સમાં તોતિંગ વધારો થયો છે. જેથી પ્લાસ્ટિક ઉદ્યોગ ફરી બંધ થવાની કગાર પર આવી ગયો છે. પ્લાસ્ટિક ઉદ્યોગમા કારખાનેદાર તથા મજુરોની રોજી રોટી પર આ યુદ્ધની અસર જોવા મળી છે. જ્યા સુધી યુદ્ધ બંધ થઈ ન જાય અને માર્કેટ સ્થિર ન થાય ત્યા સુધી ધોરાજી રિસાઈલીંગ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવનાર પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર થશે તેવુ લાગી રહ્યુ છે.
યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે અનેક ઉદ્યોગો પર માઠી અસર થઈ છે. જેને લઇને રો મટિરીયલ મળતુ નથી અને જે મળે છે તેમા ભાવ વધારો થયો હોવાથી પ્લાસ્ટિક ઉદ્યોગને ઘણી તકલીફ પડી છે. જેથી અનેક પ્લાસ્ટિક યુનિટો બંધ થઈ ગયા છે. જેથી પ્લાસ્ટિક કારખાનાઓમા કામ કરતા મજૂરોને પોતાની રોજી રોટીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અઠવાડિયામાંથી ત્રણ ચાર દિવસ પ્લાસ્ટિક કારખાનાઓ ખુલ્લા રહે છે અને બાકીના સમયમાં કારખાનાઓ બંધ હોય છે, જેથી મજુરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભારતભરમાંથી પ્લાસ્ટિક કારખાનાઓમા રોજી રોટી માટે આવતા મજુરોને પણ પોતાની રોજી રોટી માટે ફાફા મારવા પડી રહ્યાં છે. હાલ પ્લાસ્ટિક ઉદ્યોગમાં યોગ્ય મજુરી ન મળતા હજારો મજુરો ધોરાજીથી પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે અને ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગમા રો મટિરીયલમા ભાવ વધતા અને રો મટિરીયલ સમયસર ન મળતા હોવાથી ઉદ્યોગોને માઠી અસર થઈ છે. જેથી મજુરો પોતાના વતન પરત ફરી રહ્યા છે.